અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં વકીલો જજની ચેમ્બર બહાર બેસી વિરોધ પ્રદર્શન કર્યું
(જી.એન.એસ) તા. ૩૦
અમદાવાદ,
અમદાવાદ જિલ્લા કોર્ટમાં જજ એમ.કે. ઉપાધ્યાયના વર્તનને લઈને વકીલોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. રાજકોટ અને ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ જજ સામે વકીલોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં વકીલો જજની ચેમ્બર બહાર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ મામલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, 139થી વધુ વકીલોએ મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ કે.એમ. સોજીત્રાને લેખિત રજૂઆત કરીને જજ એમ.કે. ઉપાધ્યાય સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, રજૂઆત બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી કે નિરાકરણ ન આવતા વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
વકીલોના આક્ષેપ મુજબ, જજ એમ.કે. ઉપાધ્યાય વારંવાર વકીલો તેમજ પક્ષકારો સાથે તોછડું અને અયોગ્ય વર્તન કરે છે, જેના કારણે કોર્ટની ગરિમા જળવાતી નથી. રજૂઆતમાં એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે ઉલટ તપાસ અને અન્ય ન્યાયિક પ્રક્રિયા દરમિયાન વકીલોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે છે.વકીલોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ખુલ્લી કોર્ટ હોવા છતાં સાક્ષીઓની તપાસ દરમિયાન કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, જે ન્યાયિક પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. જજનો સ્વભાવ શંકાશીલ હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર રાઠોડે જણાવ્યું હતું કે જજ સામે અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વકીલોને વિરોધનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. તેમણે જણાવ્યું કે બાર એસોસિએશન કોર્ટની ગૌરવપૂર્ણ પરંપરા જળવાઈ રહે તેવું ઈચ્છે છે અને વકીલો સાથે સન્માનજનક વર્તન થાય તેવી તેમની માંગ છે.
હાલ સમગ્ર મામલો જિલ્લા ન્યાયતંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ દ્વારા આ રજૂઆત અને વકીલોના વિરોધ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

