(જી.એન.એસ) તા. ૨૯
અમદાવાદ,
16 જુલાઇએ અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સોમવારે (29મી જૂન) ના રોજ પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’નો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.
જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા સમાપ્ત થઈ હતી. મહાનુભાવોએ નદીની વચ્ચે જઈને 108 કળશમાં જળ ભર્યું હતું. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો. ત્યાર પછી ભગવાને વાઘા ધારણ કર્યા અને સાંજે 4 વાગે સરસપુર મોસાળમાં પહોંચ્યા હતા. હવે 15 દિવસ સુધી તેઓ મોસાળમાં જ રોકાશે.
જળયાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના તટે પહોંચી હતી જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીતળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 108 કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, જેઠ સુદ પૂનમના દિવસે વર્ષોથી જળયાત્રા મનાવવામાં આવે છે. આજે 149 મી જળયાત્રા યોજવામાં આવી. મોટી સંખ્યામાં જળયાત્રામાં લોકો ભાગ લીધા હતો. ભાવિક ભક્તો, સંતો-મહંતો, રાજકીય મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ આ જળયાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં નથી આવ્યા એ લોકોએ ઘરે બેઠા મોબાઈલથી દર્શન કર્યા હતા. રથયાત્રા પહેલા આ જળયાત્રા હતી. હિન્દુ સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધાથી રથયાત્રા યોજતા હોય છે. આજની જળ યાત્રા મહોત્સવ ખૂબ જ ધૂમધામથી યોજવામાં આવી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા 15 વર્ષથી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પ્રસંગે મને પ્રસંગ કરવાનો મોકો મળે છે. સાબરમતી નદીનો પવિત્ર જળનું પૂજન કરીને ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે વરસાદ ખેંચાયો છે એ વરસાદ વહેલી તકે શરૂ થઈ જાય. ખેડૂતો ગુજરાતની જનતા અને દેશની જાનતાને ગરમીથી ખૂબ રાહત મળે એવી અમારી પ્રાર્થના છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભગવાન જગન્નાથને જળાભિષેક કર્યો હતો. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
જળયાત્રાના દિવસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં પવિત્ર જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળથી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો ભવ્ય જ્યેષ્ઠાભિષેક (મહાભિષેક) કરવામાં આવે છે.
નદી કિનારેથી પવિત્ર જળ લાવવા માટે હાથી, ઘોડા, પાલખી અને બેન્ડવાજા સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે.
ગજવેશ દર્શન:- મહાભિષેક સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજીને વર્ષમાં માત્ર એક જ વાર ધારણ કરવામાં આવતો ગજવેશ (ગણપતિ સ્વરૂપ) નો શ્રૃંગાર કરવામાં આવે છે. આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે.
જળયાત્રાની વિધિ પૂર્ણ થયા પછી પ્રભુ વિધિવત રીતે તેમના મોસાળ (સરસપુર) ખાતે પધારે છે, જ્યાં તેમનું પરંપરાગત અને ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે.

