ગાંધીનગર ITI પરિસર ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવાળીયાએ સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યું
(જી.એન.એસ) તા. ૬
ગાંધીનગર,
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ અભિયાન અંતર્ગત રાજ્યભરની તમામ ૨૮૯ સરકારી ITI સંસ્થાઓમાં અંદાજે ૧૦ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવાળીયાએ ખાસ ઉપસ્થિત રહીને સ્વહસ્તે છોડ વાવી વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વૃક્ષારોપણ બાદ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવાળીયાએ જણાવ્યું હતું કે, વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન તથા સંવર્ધન કરવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. યુવાનો કૌશલ્ય મેળવવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પોતાની સામાજિક જવાબદારી પણ સમજે તે અત્યંત જરૂરી છે. મંત્રીશ્રીએ તમામ નાગરિકોને માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત ન રહેતા, વાવેલા વૃક્ષોના ઉછેર અને સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવા આહ્વાન કર્યું હતું.
આ વૃક્ષારોપણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અગ્રણી શ્રી આશિષભાઈ દવે, રોજગાર અને તાલીમ નિયામક શ્રી એ.કે.વસ્તાણી, અધિક નિયામક શ્રી રાઠવા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ શ્રી તેજસ સોની, નાયબ નિયામક (તાલીમ), ગાંધીનગર શ્રી એમ.આર.પુરાણી, નાયબ નિયામક (તાલીમ), અમદાવાદ શ્રી ધૃતિબેન જોશી, ITI ગાંધીનગરના આચાર્ય શ્રીમતી માનસીબેન તેરૈયા, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

