(જી.એન.એસ) તા. ૨૦
ગાંધીનગર,
હાલના સમયે વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમો તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓ માટે લાગુ પડશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડિઝલના વપરાશમાં ઘટાડો લાવવાનો અને સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવાનો છે. પરિપત્ર અનુસાર હવે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં. ઉપરાંત, એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને વધારાના સરકારી વાહનો જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.
સરકારે ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કર્યું છે. શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બેઠક, વર્ચ્યુઅલ મિટિંગ અને ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર માને છે કે આ પગલાંથી સમય, ઇંધણ અને સરકારી નાણાં – ત્રણેયની બચત થશે.
ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તમામ વિભાગોને નવા નિયમોનું કડક પાલન કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને ખર્ચ ઘટાડા અને કાર્યક્ષમતામાં વધારો લાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

