(જી.એન.એસ) તા. ૧
વડોદરા,
આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત દરમિયાન વડોદરામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરાના લોકોને અંદાજે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરામાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવશે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી શહેર અને આસપાસના વિસ્તારોમાં માળખાકીય વિકાસને વધુ વેગ મળવાની શક્યતા છે.
વડોદરા કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બપોરે 3 કલાકે નવસારી પહોંચશે. અહીં તેઓ જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની મુલાકાતને પગલે સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ગુજરાતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ જવા રવાના થશે. આમ, 8 સપ્ટેમ્બરે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા અને નવસારીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં વિકાસકાર્યો ઉપરાંત ભાજપ સંગઠન સાથેનો કાર્યક્રમ પણ મહત્વનો રહેશે.

