હોટેલ, રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર શુદ્ધ અને પ્રમાણિત ખાદ્યસામગ્રી જ વાપરવાની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સ્પષ્ટ સૂચના
રાજ્યવ્યાપી દરોડા : ૨(બે) દિવસમાં ૮૪૨ વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ: ૧૭૦૫ કિ.ગ્રા બનાવટી ‘ડેરી એનાલોગ’ અંદાજિત રૂ. ૫.૨૮ લાખ કિંમતનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો
(જી.એન.એસ) તા. ૭
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ’ (ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ ભાગરૂપે તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સૌથી વધુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૪૭૧ કિ.ગ્રા રૂ.૧.૫ લાખનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૨૩૫ કિ.ગ્રા રૂ. ૫૮ હજારથી વધુની કિમતનો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૧૧૫ કિ.ગ્રા રૂ.૩૦ હજારથી વધુની કિમતનો ‘ડેરી-એનાલોગ્સ’નો નાશ કરાયો હતો.
આ ઉપરાંત તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાંથી ૫૮૫ કિ.ગ્રા રૂ.૨.૦૪ લાખથી વધુ કિમંતનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૨૭ કિ.ગ્રા રૂ.૬૭૫૦, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૯ કિ.ગ્રા રૂ.૬૫૦૦ ની કિમતનો ‘ડેરી-એનાલોગ્સ’ નાશ કરવામાં આવ્યો હતો. આમ આ ઝુંબેશ હેઠળ તંત્રની વિવિધ ટુકડીઓ દ્વારા છેલ્લા બે દિવસમાં તા. ૦૬ અને તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં કુલ ૮૪૨ પેઢીઓમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને ભેળસેળયુક્ત એવો કુલ ૧,૭૦૫ કિલોગ્રામ અંદાજિત રૂ. ૫.૨૮ લાખ કિંમતનો પનીર/ચીઝ એનાલોગ જથ્થો પકડી પાડી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. દૂધ, પનીર કે ચીઝના નામે એનાલોગ્સ (બનાવટી પ્રોડક્ટ્સ) વેચીને પ્રજાની આરોગ્ય સુરક્ષા જોખમમાં મુકનાર કોઈપણ વેપારી કે ઉત્પાદકને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી તપાસ અને ઝુંબેશ ચાલુ રહેશે.

