આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ અને આર્ટ્સ જેવા વિષયોનો શિક્ષણ સાથે સમન્વય કરાશે: વિજ્ઞાનનો વિદ્યાર્થી પણ હવે ફિલોસોફી કે AI ભણી શકશે
AI ના એડ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારત ની પ્રથમ યુનિવર્સિટી બનશે: ડિરેક્ટર ડૉ. મેહુલ દવે
(જી.એન.એસ) તા. ૨૭
ગાંધીનગર,
ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશને(IITE) શૈક્ષણિક માળખાનું વિસ્તરણ કરી નવી 7 યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. વર્ષમાં 2010માં સ્થપાયેલી આ પ્રતિષ્ઠીત સંસ્થા હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સફળ અમલ બાદ આ ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે “યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ” અને મલ્ટિડિસિપ્લિનરી (બહુવિદ્યાશાખાકીય) એકેડેમિક મોડલ તરફ આગળ વધી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તરણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાનો, કૌશલ્ય આધારિત અભ્યાસક્રમનો અને ઉચ્ચ સ્તરના સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
આ સંદર્ભે વિગતો આપતા ડિરેક્ટર ડૉ. મેહુલ દવેએ જણાવ્યું હતું કે AI ના એડ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારત ની પ્રથમ યુનિવર્સિટી બનશે. IITEને ‘યુનિવર્સિટી ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ’ બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારે નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે રૂ. ૧૨૭ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. ટીચર એજ્યુકેશનની વ્યાખ્યાને વિશાળ બનાવીને આ વિસ્તરણમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, લેંગ્વેજીસ, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયોમાં સાંકળવામાં આવ્યા છે.
વૈશ્વિક સ્તરે શિક્ષણમાં આવી રહેલા પરિવર્તનને ધ્યાનમાં રાખી આ વિસ્તરણ કરવામાં આવ્યું છે. કાર્યરત કરવામાં આવેલી નવી ૭ સ્કૂલ્સની યાદી નીચે મુજબ છે:
૧. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ
૨. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ
૩. સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા
૪. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ
૫. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ એજ્યુકેશનલ લીડરશિપ
૬. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમર્જિંગ એરિયાઝ
૭. સ્કૂલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન
ઈન્ટરડિસિપ્લનરી રિસર્ચને વેગ મળશે
નવા શૈક્ષણિક માળખાને કારણે હવે વિજ્ઞાન અને ગણિતની સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રમત-ગમત, કલા અને મેનેજમેન્ટ જેવા વિષયોને પ્રત્યક્ષ રીતે શિક્ષણ સાથે સાંકળવામાં આવશે. પરિણામે, વિદ્યાર્થીઓ પરંપરાગત પદ્ધતિઓને સ્થાને નૂતન પદ્ધતિઓની મદદથી આંતરવિષયક સંશોધન કરી શકશે. આ નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રુચિ અનુસાર AI કે ફિલોસોફી (તત્વજ્ઞાન) જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે રીતે પસંદ કરી શકશે.
Ph.D. અને સંશોધન ક્ષેત્રે નવી દિશાઓ ખુલશે
આ શૈક્ષણિક વિસ્તરણ બાદ સંસ્થામાં વિજ્ઞાન-ટેક્નોલોજી, માનવવિજ્ઞાન, શૈક્ષણિક નેતૃત્વ (લીડરશિપ) અને કલા-રમતગમત જેવા બહુવિધ ક્ષેત્રોમાં Ph.D. અને ઉચ્ચ સ્તરીય રિસર્ચ માટે નવી ક્ષિતિજો ખુલશે. આમ, IITE એ ભાવિ સંભાવનાઓને ધ્યાનમાં રાખી સર્વાંગી જ્ઞાન ધરાવતા શિક્ષકો અને કુશળ શૈક્ષણિક નેતૃત્વ પૂરી પાડવાની દિશામાં પગરણ માંડ્યા છે.

