(જી.એન.એસ) તા. 7
મધેપુરા,
બિહારના વિપક્ષી નેતા, આરજેડી નેતા તેજસ્વી યાદવને મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો, જેમાં એક બેકાબૂ ટ્રકે તેજસ્વી યાદવના કાફલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે આ ઘટના તેમનાથી માત્ર 5 ફૂટ દૂર બની હતી.
આ અકસ્માત અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ‘હું સવારે 10 વાગ્યે મધેપુરામાં એક કાર્યક્રમમાં ગયો હતો અને પટના પરત ફરતી વખતે, અમે NH 22 હાજીપુર મુઝફ્ફરપુર મેઈન રોડ પર ગોરૌલમાં ચા પીવા માટે રોકાયા હતા. તે સમયે, એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને મારી સામે 2-3 વાહનોને ટક્કર મારી દીધી હતી. ત્યાં નજીકમાં જ સુરક્ષાકર્મીઓ ઉભા હતા. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમનાથી 5 ફૂટના અંતરે જ હું ઉભો હતો. જો તે થોડી વધુ અનિયંત્રિત હોત તો ટ્રક મને પણ ટક્કર મારી દેત.
આ અકસ્માતની ઘટના બાદ બિહાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બેદરકારીના પ્રશ્ન પર તેજસ્વી યાદવે કહ્યું કે, ‘અકસ્માતો થતા રહે છે, પરંતુ આજે જે અકસ્માત થયો તે સ્પષ્ટપણે બેદરકારી હતી. તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ દેશમાં મોટાભાગના લોકો અકસ્માતોને કારણે મૃત્યુ પામે છે. આ ઘટનામાં કાર્યવાહી થવી જોઈએ.’
