(જી.એન.એસ) તા. ૧૮
અમદાવાદ,
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્રિકમજી મંદિરની જમીન પચાવી લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.
જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. જામીનગીરીના બોગસ દસ્તાવેજ બનાવી આરોપીએ કાવતરું રચ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં બિલ્ડર બિલાલ શેખ સહિત 2ની પોલીસે ધરપકડ કરી છે. પૌરાણિક મંદિર પર ભૂમાફીયાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રિકમજી મંદિરમાં વર્ષ 1966માં ચેરિટી કમિશનર દ્વારા ચાર ટ્રસ્ટીની નિમણૂક કરાઈ હતી. મંદિરની જમીન 750 વારની હતી જેના પર ભુમાફિયાએ કબજો કર્યો હતો.
વર્ષ 2007માં ચેરીટી કમિશનરના ધ્યાને આખી બાબત આવી. કારણકે મંદિરની જગ્યા ચેરીટી કમિશનરમાં રજીસ્ટ્રેશન હતું પરંતુ કચેરીની મંજૂરી વિના જ વર્ષ 1999 માં કારોબાર વેચાણ થઈ ગયા હોવાના કારણે કચેરી દ્વારા સીટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને વર્ષ 2008માં ચેરિટી કમિશનરની કચેરીની તરફેણમાં ચુકાદો આવ્યો. જે બાદ વર્ષ 2010માં લતીફના દીકરા મુસ્તાકની ફર્મ વતી બાબુ શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નીચલી અદાલતના હુકમને પડકારવામાં આવ્યો, જે સંદર્ભે વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેટસ કો મતલબ કે વિવાદિત જગ્યા ને જે છે તેમને તેમ રાખવા માટે હુકમ કર્યો.
વર્ષ 1999માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસો.વતી બાબુલાલ શાહને વેચાણ કરવામાં આવી હતી. જમીન વેચાણ પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લીધી ન હતી. ત્યારે હવે પોલીસે વધુ પૂરાવા એકઠા કરવા તપાસ હાથ ધરી છે. બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ,જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારએ ફરિયાદ નોંધાવી હતી.

