(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૭ ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતા અને રાજય કક્ષાનામંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેવિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં મુક્ત,ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર જીલ્લામાં ધો. ૧૦ માં કુલ 33 કેન્દ્રોના 87 બિલ્ડીંગના 888 બ્લોક પર 25072 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ 16 કેન્દ્રોના 47 બોલ્ડિંગના 421 બ્લોક પર 12684 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ 04 કેન્દ્રોના 23 બિલ્ડીંગના 224 બ્લોક પર 4433 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ , જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિતેજા વાસમ શેટ્ટી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ,પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શિક્ષણ નિરીક્ષકશ્રી સહિત સબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.

