(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 22
હિંમતનગર,
સાબરકાંઠાના હિંમતનગર પાસે શામળાજી હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હાઈવેના નવીનીકરણ કામગીરી ચાલી રહી ત્યાં ઘટના બની છે. કન્ટેનરની ટક્કરે રિક્ષા ખાડામાં પડી જતા રિક્ષામાં બેઠેલા 2 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિની ઈજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે હાલમાં હિંમતનગર શામળાજી હાઈવેની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારી હતી. કન્ટેનરની ટક્કરે રિક્ષા હાઈવે પર પાણીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા સળિયા પર પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ભારે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રિક્ષામાં ત્રણ મુસાફરો સવારી કરી રહ્યા હતા. આ ત્રણ મુસાફરોમાંથી વાવડી ગામના કાજલબેન કાલુસિંહ મકવાણા (30 વર્ષ) અને એક 40 વર્ષીય અજાણ્યા પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સોનલબેન સંજયભાઈ મકવાણા (30 વર્ષ, રહે. વાવડી) ને ગંભીર ઈજાઓ થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એન.એન.રબારીના જણાવ્યા પ્રમાણે ટ્રક કન્ટેનર અને રિક્ષા અકસ્માતમાં રિક્ષા ચાલક સુરેશસિંહ બાલુસિંહ મકવાણા (40 વર્ષ) હિંમતનગરના હાથરોલ ગામના રહેવાસી છે.

