પુસ્તકમાં પ્રવાસી ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયોએ ઓમાનમાં આપેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે
(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓમાન સલ્તનતના વિદેશ મંત્રી મહામહિમ સૈયદ બદ્ર અલબુસૈદીએ તાજેતરમાં ‘માંડવી ટુ મસ્કત: ઈન્ડિયન કમ્યુનિટી એન્ડ શૅર્ડ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયા એન્ડ ઓમાન’ (માંડવીથી મસ્કત: ભારતીય સમુદાય અને ભારત-ઓમાનનો સંયુક્ત ઇતિહાસ) પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો વિશે ઊંડાણપૂર્વક રજૂઆત કરે છે અને તેમના કાયમી દ્વિપક્ષીય સંબંધોને ઉજાગર કરે છે.
આ પુસ્તકનું સર્જન ઑક્ટોબર 2023 થી મે 2024 દરમિયાન ઓમાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત વ્યાપક વ્યાખ્યાન શ્રેણી પરથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી શ્રી વી. મુરલીધરન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ ભારત-ઓમાન સંબંધોને મજબૂત બનાવવામાં ગુજરાતી સમુદાય સહિત ભારતીય ડાયસ્પોરાના અમૂલ્ય યોગદાન વિશે જાગૃતિ લાવવાનો હતો.
આ પુસ્તકમાં ભારત, ઓમાન, અમેરિકા અને યુએઈના વિદ્વાનો, ઇતિહાસકારો અને માનવશાસ્ત્રીઓએ આપેલા યોગદાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક ઓમાનમાં રહેતા ઐતિહાસિક ભારતીય પરિવારોના વ્યક્તિગત આખ્યાનો સાથે શૈક્ષણિક આંતરદૃષ્ટિનું મિશ્રણ કરે છે. તે ઓમાનના સમાજને આકાર આપવામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા પર એક વ્યાપક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે.
પોતાના ઐતિહાસિક મહત્વ ઉપરાંત, ‘માંડવી ટુ મસ્કત’ ભારતના તેના ડાયસ્પોરા સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવાના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક જોડાણો વિકસિત કરવામાં તેમની અભિન્ન ભૂમિકાને ધ્યાનમાં રાખીને, ભારત પોતાના વિદેશમાં વસતા સમુદાયોના યોગદાનને ઉજવી રહ્યું છે અને તેને સતત મજબૂત બનાવી રહ્યું છે, જેના થકી બંને રાષ્ટ્રો વચ્ચે ઊંડા અને સ્થાયી સંબંધો મજબૂત બન્યા છે.

