શાળા સમય દરમિયાન શિક્ષકો પોતાના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
(જી.એન.એસ) તા. ૧૨
બનાસકાંઠા,
સમગ્ર રાજ્ય અને જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા અને વર્ગખંડમાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી શાળા સમય દરમિયાન શિક્ષકો પોતાના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.શાળા શરૂ થતાંની સાથે જ તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન ફરજિયાતપણે શાળાના આચાર્ય પાસે જમા કરાવી દેવાના રહેશે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષકોનું ધ્યાન સોશિયલ મીડિયા કે અન્ય ડિજિટલ પ્રવૃત્તિઓમાં ન ભટકાય અને તેઓ સંપૂર્ણ સમય વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ફાળવી શકે.DEOના પરિપત્રમાં માત્ર મોબાઈલ જ નહીં, પરંતુ અન્ય બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
શિક્ષકોએ વસ્તી ગણતરી કે અન્ય સરકારી વહીવટી કામગીરી શાળાના સમય પહેલાં અથવા શાળા છૂટ્યા પછીના સમયમાં જ કરવાની રહેશે.શિક્ષકોને શૈક્ષણિક કલાકો દરમિયાન શિક્ષણ સિવાયની કામગીરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શાળાના સ્ટાફમાં કોઈ શિક્ષકની વય નિવૃત્તિ કે વિદાયના કાર્યક્રમો ચાલુ શાળાએ યોજી શકાશે નહીં.આવા તમામ કાર્યક્રમો ફરજિયાતપણે રજાના દિવસે જ આયોજિત કરવા સૂચના અપાઈ છે.જિલ્લા શિક્ષણ તંત્રનો આ કડક નિર્ણય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.

