(જી.એન.એસ) તા. ૨૪
વાવ-થરાદ,

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે તે અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે.
અધ્યક્ષશ્રીએ ખાસ કરીને વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે.
ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ ખાતે યોજાનારી આ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે.

