(G.N.S) Dt. 23
ગાંધીનગર,
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઇ.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ અંતર્ગત અમલીકૃત યોજનાઓની કામગીરી અંગે વ્યાપક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G), સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ(SBM-G), મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન પર ભાર મુકતાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. જેથી ગામોને શહેર જેવા વિકસિત બનાવવા “Innovative of life” સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ ગામોમાં શહેર જેવી સુવિધાઓ ઉભી કરવી તેમજ ગ્રામ્ય કક્ષાના કામો ઝડપી, ગુણવત્તાયુક્ત અને નક્કર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને રાજ્યના છેવાડાના નાગરિકો વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારી ભૌતિક તથા નાણાકીય લક્ષ્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સુચારું આયોજન કરવાના નિર્દેશો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર શ્રી બી.એમ પ્રજાપતિ સહિત રાજ્યના તમામ જિલ્લાના નિયમકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

