વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડો છેલ્લા કેટલાક સમયથી ભારતમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પર દબાણ આવશે તેવી ચિંતાએ ફંડ હાઉસોનું માનસ ખરડાયું છે અને પરિણામે રોકાણકારો ભારતની બદલે ચીન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ જેવા ઊભરતા બજારોમાં વધુ મૂડી મૂકી રહ્યા છે. નોમુરા દ્વારા કરાયેલી વિશ્લેષણ મુજબ જુલાઈ મહિનામાં ભારત માટેની ફાળવણીમાં ૧.૧૦ ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને ચીનની ઈક્વિટીમાં અનુક્રમે ૮૦, ૪૦ અને ૭૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો હતો. ભારત તરફથી રોકાણ હળવું કરનાર ફંડોની સંખ્યા ૪૧ રહી હતી, જ્યારે હોંગકોંગ અને ચીનમાં ૩૭ તથા દક્ષિણ કોરિયામાં ૨૯ ફંડોએ તેમના રોકાણમાં વધારો કર્યો હતો.
આ સાથે જુલાઈના અંત સુધીમાં ૭૧ ટકા ફંડો માટે ભારત અન્ડરવેઈટ રહ્યું, જે જૂનના અંતે ૬૦ ટકા હતું. બીજી બાજુ હોંગકોંગ અને ચીનને અન્ડરવેઈટ ગણનાર ફંડોની ટકાવારી ૭૧માંથી ઘટીને ૫૩ ટકા પર આવી ગઈ હતી. જુલાઈ મહિનો ફંડ મેનેજરો માટે કઠીન રહ્યો હતો. ઊભરતા બજારના ૪૫માંથી માત્ર ૭ ફંડોએ જ MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ કરતા સારી કામગીરી કરી હતી. આ પહેલા બેન્ક ઓફ અમેરિકાના સર્વેમાં પણ જણાયું હતું કે રોકાણકારોની પસંદગીની યાદીમાં ભારત હવે તળિયે આવી ગયું છે, જ્યારે મે મહિનામાં તે ટોચ પર હતું.

