જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય વાણિજ્યિક બેંકોના ડિફોલ્ટમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાર્ષિક ધોરણે ૨૬%નો ઉછાળો સાથે કુલ ડિફોલ્ટ રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા છે. આ વધારામાં મુખ્યત્વે માઇક્રોફાઇનાન્સ અને અસુરક્ષિત રિટેલ લોન પોર્ટફોલિયોની મોટી ભૂમિકા રહી છે. કેર એજ રેટિંગ્સના આંકડા મુજબ, ખાનગી બેંકોમાં ડિફોલ્ટના બનાવો વધુ જોવા મળ્યા છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તે તુલનાત્મક રીતે ઓછા રહ્યા છે.
એક મોટી ખાનગી બેંકમાં ટેકનિકલ પરિબળો અને કૃષિ ક્ષેત્રની નબળી મોસમી લોનના કારણે ડિફોલ્ટ વધ્યા છે. માર્ચ ૨૦૨૪ના અંતે ડિફોલ્ટ રૂ.૫૭૦૦૦ કરોડ હતા, જે આગળના ક્વાર્ટરમાં વધીને રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા. ખાનગી બેંકોમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૪૧% વધીને રૂ.૩૬૦૦૦ કરોડ થયા, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તે ૧૪.૪% વધીને રૂ.૨૭૦૦૦ કરોડ સુધી પહોંચ્યા.
કેર એજના અપગ્રેડ અને રિકવરી ડેટા દર્શાવે છે કે પ્રથમ ક્વાર્ટરમાં ગતિ ધીમી રહી છે. એપ્રિલ-જૂન ૨૦૨૫ દરમિયાન અપગ્રેડ અને રિકવરી રૂ.૨૯૦૦૦ કરોડ રહી, જે એક વર્ષ પહેલાના સમયગાળાના રૂ.૨૮૦૦૦ કરોડ કરતાં થોડો જ વધારો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં રિકવરી અને અપગ્રેડ ૬% ઘટીને રૂ.૧૬૦૦૦ કરોડ પર આવી ગઈ, જ્યારે ખાનગી બેંકોમાં સુધારો જોવા મળ્યો છે. તેમની રિકવરી એક વર્ષ પહેલાંના રૂ.૧૧૦૦૦ કરોડમાંથી વધી રૂ.૧૩૦૦૦ કરોડ થઈ છે.

