(જી.એન.એસ) તા. 26
ગાંધીનગર,
રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સતત નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. JF-1 ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને સારવાર અપાઈ છે. જ્યારે અત્યારે જેટલાં પણ દર્દીઓ છે, તેઓ હોમ આઈસોલેટ થકી સારવાર મેળવી રહ્યા છે.’
આરોગ્ય મંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યના લોકોને મારી વિનંતી છે કે, બને ત્યાં સુધી આવા લક્ષણો ઘરની અંદર જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો એ વધુ હિતકારક છે. જોકે, આનાથી ડરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર સાથે અને તેની સંસ્થાઓ સાથે આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે. કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે.’

