(જી.એન.એસ) તા.૧૭
જામનગર,
એક 55 વર્ષના વૃદ્ધ 2 ચીટર શખ્સોની જાળમાં ફસાયા અને શેર બજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે 1 કરોડ 81 લાખની રકમ ગુમાવ્યાનો વારો આવ્યો. જામનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવ્યો છે. સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા 55 વર્ષના વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કરવાની લાલચ આપી ઠગોએ 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ ફરિયાદ અનુસાર વૃદ્ધે સોશિયલ મીડિયા મારફત જતીન વર્મા અને રાજલાલ વસાણી નામના 2 શખ્સો સાથે સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. વૃદ્ધે તેમના પર વિશ્વાસ કરી 1.81 કરોડ રૂપિયા આપ્યા હતા. જો કે, પૈસા આપ્યા બાદ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. વૃદ્ધે આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને આરોપી સામે ગુનો નોંધાયો છે. સાયબર સેલની ટીમના પીઆઈ એ.આઈ. ધાસુરા અને તેઓની ટીમ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

