(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
સીએનજી ગેસના કંપની દ્વારા સતત વધી રહેલા ભાવના વિરોધમાં પ્રગતિ રિક્ષા યુનિયન દ્વારા 5 અને 6 ઓગસ્ટે બે દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી રિક્ષાઓ ચાલુ હતી, જ્યારે ઘણા વિસ્તારોમાં રિક્ષા બંધ હાલતમાં જોવા મળી હતી.
શહેરના વેજલપુર સહિતના અમુક વિસ્તારોમાં રિક્ષા ચાલકોના એક જૂથે અન્ય રિક્ષાઓ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સ્થળોએ રસ્તા પર ઊભા રહીને ચાલતી રિક્ષાઓને અટકાવવામાં આવી હતી અને મુસાફરોને રિક્ષામાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી.
યુનિયનના જણાવ્યા અનુસાર, સીએનજીના ભાવમાં થયેલા વધારાને કારણે રિક્ષા ચાલકો પર આર્થિક બોજ વધ્યો છે. આ મુદ્દે સરકાર અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવા માટે બે દિવસ સુધી રિક્ષા સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હડતાલના કારણે અમદાવાદમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મુસાફરોને જરૂરી હોય તો વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા અગાઉથી કરી લેવાની સલાહ આપવામાં આવી છે.

