(જી. એન. એસ, ધ્રુમીત ઠક્કર)
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા
આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે
માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત સમું ગામ છે. માધવપુરનો બીચ ખૂબ જ રમણીય અને સેલાણીઓને આકર્ષે છે.
માધવપુર ઘેડના મેળાનો ઇતિહાસ:-
માધવપુર ઘેડનો મેળો એટલે કે અગ્નિદેવની સાક્ષીએ બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ અને હર્ષોલ્લાસનો મેળો. માધવપુરનો મેળો એટલે માધવજીના પરિણયનો મેળો. આ મેળો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી પાંચ દિવસ સુધી ભરાય છે. આ વર્ષે તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન મેળાનું ભવ્ય આયોજન રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ તેમજ સ્થાનિક પ્રશાસન સહિતના વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસ માધવપુરમાં મેળો અને પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઊજવાય છે.
ભૌગોલિક રીતે ઊંધી રકાબી આકાર ધરાવતા ઘેડ વિસ્તારમાં માધવપુર નામે નાનું ગામ જનઆસ્થાનું મોટું કેન્દ્ર છે. દરિયા કિનારા સામે વસેલું આ ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી છે.
માધવપુર મેળાનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એ સમયના રાજા ભીષ્માકની રાજ કુવારી રુક્ષ્મણીજીના લગ્ન તેમના ભાઈ રુકમૈયાની ઇચ્છાથી શિશુપાલ સાથે નક્કી થાય છે. રુક્ષ્મણીજીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છે અને તેઓ ભગવાન શ્રીકૃષ્ણને લગ્ન માટે પત્ર લખે છે. આ પત્ર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને પહોંચાડવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પૂર્વમાં જઇ રુકમૈયાને હરાવી રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા પરત ફરતી વખતે એ સમયના માધવ તીર્થ એટલે કે હાલના માધવપુરમાં લગ્ન વિધિ સંપન્ન કરે છે .ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી, એ સ્થળ એટલે મધુવન એ ખૂબ જ રમણીય અને શાંતિ આપનારું છે.
લગ્ન વિધિ માટેના ચોરી માયરાના સ્થાપત્યના અંશો માધવપુરે સાચવી રાખ્યા છે. કુદરતે માધવપુર અને આસપાસના વિસ્તારને ખોબલે ખોબલે સુંદરતા આપી છે. જે ભાવિકોને મોહી લે છે.
ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે. ત્યાર બાદ રાત્રે ૦૯.૦૦ કલાકે ભગવાન માધવરાયજી અને ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ દસમ તથા એકાદશીના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે.
ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. જેમાં મહેર સમુદાયના લોકો ધજાઓ સાથે શણગારેલા હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈને રુક્ષ્મણીનું મામેરું લઇ આવે છે. જ્યારે બપોરે ૧૨.૦૦ કલાકે મધુવનમાં આવેલ મહાપ્રભુજીના પવિત્ર સાંનિધ્યમાં રુક્ષ્મણીના પિયર પક્ષની જગ્યામાં ‘રુક્ષ્મણી મઠ’થી ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. અને ચાર ફેરા જેવા પ્રસંગો જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મેળા માટે ‘માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન’ લગ્નગીત પણ જાણીતું છે.
હવે શ્રીકૃષ્ણ – રુક્ષ્મણી વિવાહનો આ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યો છે. વર્ષ 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ મેળાએ રાષ્ટ્રીય બહુમાન મેળવ્યું છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સંકલનથી અહીં સાંસ્કૃતિક ઉત્સવ યોજાય છે, જેમાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતી ભવ્ય સંસ્કૃતિ કૃતિઓ બંને પ્રદેશોના કલાકારો પ્રસ્તુત કરે છે. વર્ષ 2025ના આ મેળામાં પ્રથમ વખત મોટા સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 એમ 1600 કલાકારો ભવ્ય પ્રસ્તુતિ કરશે.
આ મેળામાં અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો પણ આ મેળામાં જોડાઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે.
માધવપુરના આ અસલી સોરઠી મેળામાં નવપરણિત યુગલો સહિત યુવાનો પવિત્ર પ્રેમના સમન્વયની આ પળના અચૂક સાક્ષી બને છે. અહીં મેળામાં ભાતીગળ વસ્ત્ર-અલંકારો પહેરીને ગીતો ગાતી અને રાસડે રમતી વિવિધ સમાજની સ્ત્રીઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન કરાવે છે. જગતનાં દુઃખોને ભૂલીને અબાલવૃદ્ધ સહિત તમામ વર્ગના લોકો પાંચ દિવસ સુધી ભક્તિ, આનંદ, ઉલ્લાસ અને આધ્યાત્મરસમાં લીન થઈને આ મેળામાં સહભાગી બને છે.
આ વર્ષે માધવપુર મેળાનો મહિમા ચોમેર પ્રસરાય તે માટે જુદા જુદા જિલ્લામાં પ્રિ-પ્રોમશનલ કાર્યક્રમો પણ યોજવાના છે. અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયા હતા તે મધુવનમાં રુક્ષ્મણી માતાના પૌરાણિક મંદિર અને ચોરી માયરાના સ્થળનો તેમજ માધુપુરના બીચ વિસ્તારમાં અને અન્ય સ્થળોએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ બોર્ડ સરકાર દ્વારા પ્રવાસનને ધ્યાનમાં રાખીને ‘વિરાસત ભી વિકાસ ભી’ સૂત્ર સાર્થક કરતા વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધવપુરની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવામાં આવી રહી છે. માધવપુર તેના ઐતિહાસિક આધ્યાત્મિક મહત્ત્વ અને પ્રકૃતિના સૌંદર્યથી એક આગવું પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે.
મેળાનાં આકર્ષણો:-
મેળાના પ્રારંભથી ચાર દિવસ સુધી સ્ટેડિયમ આકારના ભવ્ય મેદાનમાં ઉત્તર પૂર્વના કલાકારો અને ગુજરાતના કલાકારો એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરે છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતા સાથે ભવ્ય ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
માધવપુર ખાતે સદીઓ પુરાણું વિષ્ણુ મંદિર પણ આવેલું છે, જે જૂના માધવરાયજીના મંદિરથી ઓળખાય છે. 12મી સદીમાં બનેલું આ મંદિર ભારતની ભવ્ય સનાતન સંસ્કૃતિના વારસાનું પ્રતીક પણ છે. આ મંદિર ખૂબ જર્જરિત થતાં 300 વર્ષ પહેલા પોરબંદરના મહારાણીએ બીજું નવું મંદિર બંધાવી આપેલું. ત્યાં જૂના મંદિરમાંથી માધવરાયજીની મૂર્તિઓ અહીં પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓ પણ ભારતની અજોડ અને ખૂબ જ આગવી વિશેષતાઓ ધરાવતી મૂર્તિઓમાંની એક છે. ભગવાન માધવરાયજીના દર્શન કરવા એક લહાવો છે અને અહીં દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુ ભગવાન માધવરાયજીના અચૂક દર્શન કરે છે અને ભવ્યતાની લાગણી અનુભવે છે. ભગવાન માધવરાયજીની જાન માધવરાયજીના મંદિરેથી મધુવનમાં રુક્ષ્મણી માતાના મંદિર પરિસર ચોરી માર્યા ખાતે જાય છે. અહીં લગ્ન વિધિ થાય છે, જે પ્રસંગ પણ હજારો ભાવિકો માણે છે.
માધવપુર ભારતના ઇતિહાસમાં ભક્તિ આંદોલન વખતે પણ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અહીં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પણ યાત્રા કરેલી અને તેમની બેઠક પણ આવેલી છે. રામાનુજાચાર્ય પરંપરા, ગુરુ ગોરખનાથનો ધુણો બ્રહ્મકુંડ, ગદા વાવ, મધુવંતી નદી સંગમ, નીલકંઠ મહાદેવ, ગુફાઓ, રુક્ષ્મણી મંદિર અને પૌરાણિક વિવિધ વાવ-કુંડો આકર્ષણનું કેન્દ્ર છે.
માધવપુર બીચ પર રેત શિલ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રેત શિલ્પના કલાકારો રેતીનાં ચિત્રો શિલ્પનું સર્જન કરી માધવપુરના મેળાની ઇતિહાસ સાથે જોડાયેલી કૃતિઓની પ્રસ્તુતિ કરે છે.
માધવપુરનો મેળો હસ્તકલા કલાકારો માટે રોજગારીનું કેન્દ્ર માધવપુરના મેળામાં ઇન્ડેક્સ સી અને ઉદ્યોગ કેન્દ્ર સહિતના સરકારી વિભાગોના પ્રોત્સાહનથી ઉત્તર પૂર્વ રાજ્યો અને સ્થાનિક ગુજરાતના હસ્તકલાના કારીગરોને પ્લેટફોર્મ આપવામાં આવે છે અને તેઓને સ્ટોલ ફાળવવામાં આવે છે. હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓનો અહીં વેચાણ કરે છે





