હેડીંગ- દેશભરના ICU માટે બનશે સમાન નિયમો; 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્યોને આદેશ
(જી.એન.એસ) તા. ૨૫
નવી દિલ્હી,
દેશની તમામ હૉસ્પિટલોમાં આઇસીયુ (ICU) એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યા છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો સતત પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, પણ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.
આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું કે ગંભીર દર્દીઓની સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સૌથી મોટી હોય છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અને પેરા મેડિકલ કાઉન્સિલને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી સુનાવણી સુધીમાં એવો કોર્સ કે ટ્રેનિંગ મોડ્યુલ રજૂ કરવું પડશે જે નર્સિંગ સ્ટાફને આઇસીયુની કટોકટીની સ્થિતિ સામે લડવા તૈયાર કરે.
તે સાથેજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માર્ગદર્શિકાને સત્તાવાર રીતે ઍડવાઇઝરી તરીકે જાહેર કરશે અને વેબસાઇટ પર અપલોડ કરશે. તમામ રાજ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે, ત્યારબાદ એક સંયુક્ત બેઠક યોજીને આખરી મુસદ્દો તૈયાર થશે. આ મામલે હવે 18 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા થશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકોને ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં વધુ સારી અને ધોરણસરની ગંભીર સારવાર મળવાની આશા જાગી છે.

