(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
શુક્રવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર થયો હતો, જેમાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા મુસ્તફાબાદના શક્તિ વિહારમાં શનિવારે, 19 એપ્રિલ 2025ની વહેલી સવારે ચાર માળની એક ઇમારત ધરાશાયી થવાણી ઘટના બની હતી જેમાં 4 લોકોનાં મોત થયાં અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકા છે.
આ દુર્ઘટના રાત્રે 3 વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 10થી વધુ લોકોને બચાવાયા છે જ્યારે અન્ય 10થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.
એનડીઆરએફ, ડૉગ સ્કવૉડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.
આ બાબતે એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, “આ ઇમારતમાં બે પુરુષો અને તેમની પુત્રવધૂઓ રહેતા હતા. એક પુત્રવધૂને 3 બાળકો છે, અને બીજીને પણ 3 બાળકો છે. ઘટના બાદ તેઓ ક્યાંય દેખાતા નથી. અહીં ભાડૂઆતો પણ રહેતા હતા, પરંતુ હાલમાં કોઈની ખબર નથી.” આ નિવેદનથી ઘટનાની ગંભીરતા અને અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશે અંદાજ મળે છે.

