વકફ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું
(જી.એન.એસ) તા.4
નવી દિલ્હી,
વકફ બિલ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હવે વકફ સંશોધન બિલનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વકફ સંશોધન કાયદાને પડકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વક્ફ સુધારા બિલ 2025 લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં આ બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા. તો રાજ્યસભામાં વકફ બિલની તરફેણમાં 128 અને વિરુદ્ધમાં 95 વોટ પડ્યા હતા. આ સાથે બંને ગૃહો દ્વારા બહુમતી સાથે બિલ પસાર કરવામાં આવ્યું હતું.
વકફ સંશોધન બિલ પર કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું – “આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. તેના પર રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર થવાના બાકી છે અને પછી તેને કાયદાકીય લડાઈમાંથી પસાર થવું પડશે. અમે તે જ કરીશું જે બંધારણીય છે. સંસદમાં પસાર થયેલું સંશોધન બિલ ગેરબંધારણીય છે.”
આ બિલ મામલે કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના વડા સોનિયા ગાંધીએ સરકાર પર વકફ (સુધારા) બિલને મનસ્વી રીતે પસાર કરવાનો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે આ બિલ બંધારણ પર પ્રહાર છે. સમાજને કાયમી ધ્રુવીકરણની સ્થિતિમાં રાખવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો આ એક ભાગ છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોનિયા ગાંધીને જવાબ આપ્યો છે. નામ લીધા વિના, તેમણે કહ્યું કે વક્ફ (સુધારા) બિલ પર એક વરિષ્ઠ સભ્ય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે અને સંસદીય મર્યાદા અનુસાર નથી.

