કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે
(જી.એન.એસ) તા.1
નવી દિલ્હી/પ્રયાગરાજ,
દેશની સર્વોચ્ચ અદ્દલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) મોટો નિર્ણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર 6 અઠવાડિયાની અંદર આપવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર મકાન પાડવાનું ખોટું હતું અને તેને ગેરકાયદેસર માન્યું છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વળતર એટલા માટે પણ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં સરકાર યોગ્ય પ્રક્રિયા વિના લોકોના મકાન પાડવાનું ટાળે. જજોએ તાજેતરમાં જ સામે આવેલા એક વીડિયોનો પણ હવાલો આપ્યો, જેમાં ધ્વસ્ત થતી ઝૂંપડીથી એક બાળકી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ પહેલા 7 માર્ચે ઉત્તર પ્રદેશ સરકારને બુલડોઝર કાર્યવાહીને લઈને આકરી ફટકાર લગાવી હતી. પીડિતોનું કહેવું હતું કે રાજ્ય સરકારે ભૂલથી તેની જમીનને ગેંગસ્ટર અતીક અહેમદની સંપત્તિ માની લીધી. તેના કારણે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ અન્ય લોકોના ઘર પાડી દીધા.
તેમજ સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કહ્યું હતું કે ‘જે ઘરોને ભૂલથી પાડ્યા છે, તેમને રાજ્ય સરકાર પોતાના ખર્ચ પર ફરીથી બનાવશે. જો તમે (એટર્ની જનરલ) આને પડકાર આપવા ઇચ્છો છો, તો એક સોગંદનામું દાખલ કરીને કાયદેસર લડત લડી શકો છો.’

