અમદાવાદ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-2 ને મળી મોટી સફળતા
(જી.એન.એસ) તા. 20
અમદાવાદ,
15 વર્ષ જૂના કેસમાં અમદાવાદ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-2 ના અધિકારીઓ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં, 15 વર્ષથી ફરાર ડબલ મર્ડર કેસના મુખ્ય બે આરોપીની પોલીસે રાજ્ય બહારથી ઝડપી પાડયા હતા.
એલસીબી પોલીસની ટીમ દ્વારા આરોપીઓને રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી ફિલ્મી ઢબે વેશ બદલી ને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ડબલ મર્ડર કેસ ઉકેલવા માટે LCBએ બાતમીના આધારે આરોપીના ઠેકાણાની શોધ કરી હતી અને બંને આરોપીને ઝડપી પાડવા માટે અધિકારીઓએ ફિલ્મી ઢબે દૂધવાળા, ટ્રેક્ટર ડ્રાઇવરો અને વિક્રેતાઓનો વેશ ધારણ કર્યો હતો.
આ કેસ બાબતે પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, અદાવાદમાં 15 વર્ષ પહેલા એટલે કે 22 નવેમ્બર 2009ના રોજ સાબરમતીના પ્રબોધ રાવલ બ્રિજ નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં ચણાચોર વહેચવાના વિવાદ મામલે આરોપીએ જાહેરમાં ગોળીબાર કરીને બે વ્યકિતની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં એલસીબી પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ફરાર આરોપીના ઠેકાણાની પુષ્ટિ કર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા. જેમાં એલસીબીના અધિકારીઓ કેસને ઉકેલવા માટે દૂધવાળા, ટ્રેક્ટર ડ્રાઇવરો અને વિક્રેતાઓનો વેશ ધારણ કર્યો હતો. જેમાં બે દિવસની દેખરેખ પછી એલસીબી ટીમે મૂળ રાજસ્થાનના રહેવાસી મુન્ના સિંહ નારાયણ સિંહ કુશવાહ (ઉં.વ. 48) અને મૂળ મધ્યપ્રદેશના સીતારામ ભગવાન સિંહ કુશવાહ નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી ધરપકડથી બચી રહેલા આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.

