પથ્થરમારાની ઘટના બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ તપાસ શરૂ કરી
(જી.એન.એસ) તા. 10
ઈન્દોર,
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત બાદ, શોભાયાત્રા દરમિયાન મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો. બંને બાજુથી પથ્થરમારામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ છે.
આ ઘટના મામલે, ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે, ‘પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.’ આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં ઉજવણી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી થઈ હતી.’


