(જી.એન.એસ) તા. 12
નવી દિલ્હી,
શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, મફતના કારણે લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના રૂપિયા મળી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘દુર્ભાગ્યવશ, આ મફત સુવિધાઓને કારણે… લોકો કામ કરવા તૈયાર નથી.’ તેમને મફત રાશન મળી રહ્યું છે. તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે.
બેન્ચે કહ્યું, ‘અમે તેમના પ્રત્યેની તમારી ચિંતા સમજીએ છીએ, પરંતુ શું તે વધુ સારું નહીં હોય જો તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?’ એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે, જે શહેરી વિસ્તારોમાં બેઘર લોકોને આશ્રય આપવા સહિત વિવિધ મુદ્દાઓને સંબોધશે.
ગયા વર્ષે, કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ પૂરી પાડવાની પ્રથાને પડકારતી અરજીનો જવાબ આપવા કહ્યું હતું.
બેન્ચે એટર્ની જનરલને કેન્દ્ર સરકારને પૂછવાનો નિર્દેશ આપ્યો કે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે.

