(જી.એન.એસ) તા. 4
ફતેહપુર,
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સવારના સમયે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 8 વાગ્યે થયો હતો. કાનપુર અને ફતેહપુર વચ્ચે ખાગામાં પમ્ભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) પર થયેલા અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ, પોલીસ અને GRP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ટ્રેક પર ફક્ત માલગાડીઓ જ દોડે છે, તેથી પેસેન્જર ટ્રેનોની અવરજવર પર કોઈ અસર પડી નથી, પરંતુ રેલ્વે મંત્રાલયે આ રેલ અકસ્માત અંગે તપાસનો આદેશ આપ્યો છે.
આ રેલ અકસ્માત અંગે મીડિયા સૂત્રો જોડેથી મળતી માહિતી મુજબ એક માલગાડી ફ્રેઇટ કોરિડોર પર રેડ સિગ્નલ પર ઉભી હતી ત્યારે અચાનક સામેથી કોલસાથી ભરેલી એક માલગાડી આવી અને ત્યાં પહેલેથી જ ઉભી રહેલી માલગાડી ને અથડાઈ હતી. આ બે માલગાડીની ટક્કર એટલી ગંભીર હતી કે માલગાડીનું એન્જિન ગાર્ડના ડબ્બા સાથે પાટા પરથી ઉતરી ગયું અને પલટી ગયું હતું. આ રેલ અકસ્માત મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ધુમ્મસ અને વધુ પડતી ગતિને કારણે થયો હોવાની શંકા છે. આ રૂટ પર ફક્ત માલગાડીઓ જ દોડતી હોવાથી, અન્ય માલગાડીઓના રૂટ બદલવામાં આવ્યા છે. છેલ્લા અકસ્માતનું કારણ કોની ભૂલ હતી તે શોધવા માટે રેલવે મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો છે? હાલમાં બંને પાયલોટ ઘાયલ છે. તેમની સાથે વાત કરીને જ આપણને ખબર પડશે કે અકસ્માત કેમ અને કેવી રીતે થયો? હાલમાં, ટ્રેક સાફ કર્યા પછી, અવરજવર ફરી શરૂ કરવામાં આવી રહી છે.

