(જી.એન.એસ) તા. 2
નવી દિલ્હી,
વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ આજે (સોમવાર, 3 ફેબ્રુઆરી 2025) લોકસભામાં રજૂ કરવામાં આવશે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરશે. સોમવારે રાજ્યસભામાં JPC રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. અગાઉ આ રિપોર્ટ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો હતો.
સંસદમાં બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. આ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલવાની શક્યતા છે. દરમિયાન, વક્ફ સુધારા બિલ પર JPC રિપોર્ટ 3 ફેબ્રુઆરીએ બંને ગૃહોમાં રજૂ થવાનો છે. JPC રિપોર્ટને 11 મત સામે 16 મતોની બહુમતીથી સ્વીકારવામાં આવ્યો છે.
વક્ફ સુધારા બિલ પર 8 ઓગસ્ટ 2024ના રોજ એક JPC ની રચના કરવામાં આવી હતી. જેપીસી સભ્યોએ લગભગ 17 મહિના સુધી વકફ (સુધારા) બિલ પર ચર્ચા કરી. 29 જાન્યુઆરીના રોજ, 655 પાનાના JPC રિપોર્ટને બહુમતીથી સ્વીકારવામાં આવ્યો. આમાં ભાજપના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ થાય છે. જ્યારે વિપક્ષ દ્વારા સૂચવેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. અગાઉ JPC બેઠકમાં, ડ્રાફ્ટ બિલ અને સુધારાઓને બહુમતીથી સ્વીકારવામાં આવ્યા હતા. JPC સભ્યો વચ્ચે મતદાન થયું. સુધારેલા બિલના પક્ષમાં 16 મત પડ્યા જ્યારે વિરુદ્ધ 11 મત પડ્યા. કેટલાક વિપક્ષી સાંસદોએ આ ડ્રાફ્ટ સાથે અસંમતિ વ્યક્ત કરી અને તેને ગેરબંધારણીય ગણાવ્યું. તેમનું કહેવું છે કે અંતિમ અહેવાલનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો હતો.
જો કે, ગયા વર્ષે ચોમાસુ સત્રમાં લોકસભામાં વકફ (સુધારા) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને ગૃહમાં રજૂ કર્યું હતું. દરમિયાન, વકફ (સુધારા) બિલ પર ગૃહમાં ભારે હોબાળો વચ્ચે, તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલવામાં આવ્યું. હવે તેને સોમવારે ગૃહના આગામી સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે.
ઘણા વિપક્ષી સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ‘X’ પર લખ્યું, ‘સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ જે રિપોર્ટ ઇચ્છતા હતા તે તૈયાર થઈ ગયો છે, પરંતુ વિપક્ષનો અવાજ કેમ દબાવવામાં આવ્યો?’ તેમણે કહ્યું કે તેમણે તેની વિરુદ્ધ સમિતિને અસંમતિ નોંધ સુપરત કરી છે. પરંતુ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે તેમની જાણ વગર તેને દૂર કરી દીધું.

