(જી.એન.એસ) તા.૨૦
અમદાવાદ,
અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસીને કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી હતી. અમદાવાદમાં વારંવાર અસામાજિક આવારા લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓમાં પોલીસ દ્વારા લુખ્ખા તત્વોનું ફક્ત જાહેર સરકસ નીકાળે છે. પરંતુ આવા લુખ્ખા તત્વોમાંથી ડર બહાર નીકાળી શકતા નથી. જેને લઇને આવા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવા બેફામ બનેલા નબીરાઓનો ત્રાસથી શહેરમાં ભય ફેલાયો છે. મળતી માહિતી મુજબ અમદાવાદના આનંદનગરની એક સોસાયટીમાં અસામાજિક શખ્સોનો આતંક સામે આવ્યો છે. સેટેલાઇટ વિસ્તારના આનંદનગર સોસાયટીમાં તોડફોડની ઘટના બની હતી. હથિયારો સાથે સોસાયટીમાં 6થી 8 નબીરા લુખ્ખા તત્વો ઘુસી આવ્યા હતા. જેમણે વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. સોસાયટીના સ્થાનિક લોકો સાથે પણ તકરાર કરી હતી. આ લુખ્ખા તત્વોએ એક્ટિવા તેમજ સ્કૂટર સહિતના અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સામાન્ય બોલાચાલીમાં આ આવારા તત્વોઓ સોસાયટીને બાનમાં લીધી હતી. અમદાવાદના આનંદનગરમાં બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે વીડિયોના આધારે પોલીસે સાહિલ દેસાઈ તેમજ પાર્થ દેસાઈ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

