Home ગુજરાત ૨ ફેબ્રુઆરી – વર્લ્ડ વેટલેન્ડ ડે- નળ સરોવર ખાતે કરાશે ‘વેટલેન્ડ ડે’...

૨ ફેબ્રુઆરી – વર્લ્ડ વેટલેન્ડ ડે- નળ સરોવર ખાતે કરાશે ‘વેટલેન્ડ ડે’ ની ઉજવણી

85
0

૨ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી-મહત્વના વેટલેન્ડને સંરક્ષણ અને વિકાસ માટે “રામસર” સાઈટ જાહેર કરાય છે…

૨ ફેબ્રુઆરી… વર્લ્ડ વેટલેન્ડ ડે… સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું ? સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષનાં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કે બારેમાસ પાણીથી પ્લાવિત રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર(ઈકોલોજી) વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તાર) કહે છે. 

આજે ૨ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત સહિત દુનિયાભરમાં ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવવામાં આવશે. વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી ૨ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ ઇરાનના રામસર શહેરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે આ દિવસને ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વનાં વેટલેન્ડનાં સંરક્ષણ અને વિકાસ માટે તેને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.

વેટલેન્ડનાં સરંક્ષણની જરૂરિયાત

આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી  એક પડકાર ઉભો થયો છે.  બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડનાં અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. નળ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા માટે  કાર્યરત ‘માનવ સેવા ટ્રસ્ટ’ સંસ્થાના મનુભાઈ બારોટ કહે છે કે, ભૌતિક સુખ સુવિધાઓ પાછળની ઘેલછા કહો કે આંધળી દોટ કહો, માનવજાત તેના પોતાના અસ્તિત્વ પર જાણે અજાણે સંકટ ઉભી કરી રહી છે.  માણસ ભુલી જાય છે કે આ પૃથ્વી પર તેનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નથી. મનુષ્ય સંપૂર્ણ જીવસૃષ્ટિનો એક નાનકડો ભાગ છે અને તેણે બાકીની સજીવસૃષ્ટિ અને કુદરતી તત્વો સાથે સંવાદિતા સાધીને જીવન જીવવાનું છે. સામાન્ય રીતે પર્યાવરણપ્રેમીઓ વેટલેન્ડ અંગેની માહિતી ધરાવતા હોય છે, પણ આજે જ્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે સામાન્ય માણસ પણ પોતાની આસપાસનાં પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને પાણીનાં સ્ત્રોતો જેવા વિષયમાં રસ લેતા થાય તો પૃથ્વી માતાનાં જતનની આપણી જવાબદારી નિભાવવા સાથે આવનારી પેઢીઓને પણ સુંદર વિશ્વની ભેટ આપણે આપી શકીએ. એટલે જ ‘માનવ સેવા ટ્રસ્ટ’ પ્રતિ વર્ષ ‘વેટ લેન્ડ ડે’ની અર્થપુર્ણ ઉજવણી કરે છે અને પર્યાવરણ સુરક્ષા સાથે પક્ષીઓની સુરક્ષા માટે પણ જાગૃતિ કાર્યક્રમો યોજે છે.

ગુજરાત એક અપાર વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે. રણ, પર્વત, જંગલ, દરિયો એમ બધુંજ ગુજરાત પાસે છે. ગુજરાત ૧૬૦૦ કિ.મિ થી વધુ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે.

ગુજરાતને પક્ષી તીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે.

જિલ્લા વન સંરક્ષક શ્રી પી.પુરુષત્તમા કહે છે કે,  ‘અમદાવાદથી આશરે ૬૫ કિ/મિ દુર આવેલુ નળ સરોવર દેશનું સૌથી મોટું જળપક્ષી અભ્યારણ અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક છે.  નળ સરોવર એ અંદાજે ૧૨૦ ચો કિ.મિ જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે.  આ સરોવરની લંબાઈ ૩૨ કિ,મિ તથા પહોળાઈ ૬.૪ કિ.મિ છે. શિયાળાની શરુઆત સાથેજ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરુ થઈ જાય છે.  નળસરોવર અને થોળ તળાવ ખાતે અનુક્રમે પક્ષીઓની ૨૨૬થી વધુ પ્રજાતિઓ અને માછલીઓની ૧૯ પ્રજાતિઓનો વસવાટ જોવા મળે છે. નળસરોવરને ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓનાં સ્વર્ગ સમાન બની ગયું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય, વન વિભાગ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળપ્લાવિત દિનની ઉજવણી કરાનાર છે. જેમાં ફોટો એક્ઝીબીશન કમ કોમ્પીટીશન, વર્કશોપ યોજાનાર છે…’ 

વેટલેન્ડનાં ફાયદા:-

વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિ માટે આદર્શ આશ્રયસ્થાન:

વેટલેન્ડ વિવિધ પ્રકારનાં જીવો માટે એક આદર્શ રહેઠાણ છે. સુક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, રેપ્ટાઈલ્સ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરુ પાડે છે. અને જીવો જીવસ્ય ભોજનમ સ્વરૂપે તેમની આહારશ્રુંખલા જળવાયેલી રહે છે. તાપમાનમાં ઘટાડો થાય: ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન દુનિયાને પોતાનાં ભરડામાં લઈ રહ્યો છે ત્યારે પાણીનાં મોટા સ્ત્રોતોને કારણે સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય છે. પાણીનું સ્તર જળવાય: વેટલેન્ડનું સંરક્ષણ કરવામાં આવે તો તેના લીધે ભુગર્ભ જળનું પ્રમાણ ઉંચુ આવે છે, અને પાણીના પ્રશ્નોના નિરાકરણમાં મોટી મદદ મેળવી શકાય છે. પોષકતત્વોની જાળવણી થાય: વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવામાં ઘણા મદદરૂપ થાય છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયકલિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભુમિકા ભજવે છે. વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિ દ્વારા આવા પોષકતત્વોને શોષી લેવામાં આવે છે, અને જ્યારે તેમનાં પર્ણ ખરી પડે, કે તેમનો નાશ થાય ત્યારે આ પોષકતત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે.   જળચક્ર અને કાર્બનચક્રનું સમતુલન જળવાય:  વેટલેન્ડ ફોટોસીન્થેસીસની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતરણ કરી દે છે. માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દુર કરવામાં પણ વેટલેન્ડનો અગત્યનો ફાળો છે. 

જલપ્લાવિત વિસ્તારનું સંરક્ષણ એજ તેની સાચી ઉજવણી.

Previous articleકંડલાના તુના ટેકરામાં દીનદયાલ પોર્ટ ધ્વારા પીપીપી મોડ હેઠળ મેગા કન્ટેનર હેન્ડલિંગ માટે હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રા. લિ. (ડીપી વર્લ્ડ સાથે) ને  કોન્ટ્રાક્ટ અપાયો
Next articleબજેટ ૨૦૨૩માં ઈન્કમ ટેક્સ પર મોટી જાહેરાત, ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી