Home ગુજરાત સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ વાઇબ્રન્ટ પ્રિ-સમિટ રાજકોટ ખાતે...

સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ વાઇબ્રન્ટ પ્રિ-સમિટ રાજકોટ ખાતે યોજાઈ..

31
0

(G.N.S) dt. 19

રાજકોટ,

દેશને આર્થિક મહાસત્તા બનાવવા ઔદ્યોગિક વિકાસ મહત્વનો: મંત્રી રાઘવજી પટેલ

મંત્રી ભાનુબહેન બાબરિયા સહિત ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો, વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

“સિરામિક: પ્લેસિંગ ગુજરાત ઓન ગ્લોબલ મેપ” માં રૂ.૧૨૮૦ કરોડના રોકાણોના એમ.ઓ.યુ થયા

સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ.૧૨૮૦ કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા.
ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી વિભાગના મંત્રી ભાનુબહેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ‘‘આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ’’ યોજાઇ હતી. જેનું આયોજન રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ કન્વેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)૧૦ની આવૃત્તિના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા કહ્યું હતું કે, આ સમિટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સપનાને સાકાર કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કરશે. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે, અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી ૧૦મી આવૃત્તિમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે.

મંત્રી રાઘવજી પટેલે ગૌરવપૂર્વક ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે ઉદ્યોગોને અનુરૂપ સરળ નીતિઓ બનાવી છે, જેના અનુસંધાને આ વખતે દરેક જિલ્લામાં સમિટ કરી જિલ્લા સ્તરે ઔદ્યોગિક વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.

મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રયોજીમો યોજી રહી છે. રાજકોટ ખાતેની આ પ્રી સમિટનો ઉદ્દેશ નીતિ સુસંગતતા, અસરકારક રોકાણોને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGS ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર આધારિત છે.

જી.આઈ.ડી.સી. જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધ્વની દલાલે કર્યું હતું.

રાજકોટમાં આયોજિત આ પ્રી સમિટમાં આશરે રૂ. ૧૨૮૦ કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં રોજગારીની તકો સર્જાશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.

આ સમિટમાં એમ.ઓ.યુ કરનારમાં મોરબી સિરામિક એસો , રાજકોટ એન્જિ.એસો., સન સાઈનવ વિટરિફાઇડ ટાઇલ્સ ગ્રુપ, ઓરબીટ બેરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સતાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મિલેનિયન પ્રા. લિમિ., જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

આ સમિટમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એમ.એસ.એમ.ઇ. કમિટી ચેરમેન પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણી, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત, ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ સુદીપ્ત સાહા, વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડૉ. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક સંજય સરાવગી, ઇસરો (ISRO) સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપના દેબજ્યોતિ ભટ્ટાચારજી, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, એડી.પોલિસ કમિશ્નર વિધિ ચૌધરી, રાજકોટ જી.આઇ.ડી.સી.ના ડી.એમ. આશિષ મારુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી, જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર તપન પાઠક, રોનક મન્સૂરી, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

જી.આઇ.ડી.સી. દ્વારા મોરબીથી ૧૨ કિ.મી. દૂર પાનેલી-જાંબુડિયા ગામમાં ૪૨૫ હેક્ટરમાં સિરામિક પાર્કનું નિર્માણ થશે

દેશના ૯૦ ટકા સિરામિકનું ઉત્પાદન મોરબીમાં થાય છે. મોરબી ખાતે પ્રતિ દિન ચાર મિલિયન સ્કેવર મીટર ટાઇલ્સનુ ઉત્પાદન થાય છે. આ સિરામીક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા
વાઇબ્રન્ટ ગુજરાતની દસમી આવૃત્તિના ભાગરૂપે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મોરબીના પાનેલી ખાતે ૪૨૫ હેક્ટર વિસ્તારમાં સ્ટ્રેટેજિક ઇન્ટ્રીગ્રેટેડ સિરામિક પાર્ક ઉભો કરવામાં આવશે. જે અંગેની શોર્ટ ફિલ્મ આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવી હતી. મોરબીમાં ૧૮૦૦ થી પણ વધુ સિરામિક ઉદ્યોગોના એકમો આવેલા છે. મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. પચાસ હજાર કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂ.૧૫૦૦૦ કરોડની છે.
મોરબીની ટાઇલ્સ મોટા ભાગે ઇસ્ટ એશિયા, યુ.એસ, યુરોપ, આફ્રિકા, મિડલ ઇસ્ટમાં નિકાસ કરવામાં આવે છે. હીરાસર એરપોર્ટથી આ પાર્ક ૭૦ કિ.મી. દૂર થશે. જ્યારે નવલખીથી ૪૮ કિ.મી, કંડલાથી ૧૩૯ કિ.મી. અને મુન્દ્રાથી ૧૯૫ કિ.મી.નું અંતર થશે. જ્યારે થાનના સિરામિક એકમોથી ૪૯ કિ.મી. દૂર થશે. આ પાર્કથી સિરામિક ઉદ્યોગને વધુ વેગ મળશે.

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટમાં સિરામિક, એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ
વિષયો ઉપર ચર્ચા કરાઈ.

આ સમિટમાં ‘‘સિરામિક આઉટલુક: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વે ફોરવર્ડ’’ થીમ પર સુદીપ્ત સાહા, એચ. એલ. રાય, પર્વેશ અગ્રવાલ, લલિતમોહન મનોહા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે એડવાન્સ્ડ સિરામિક: ન્યુ એજ એપ્લિકેશન્સ એન્ડ ફ્યુચર પોટેન્શિયલ થીમ ડો. ટી. કાર્થીક, સંજય સર્વાગી, બી. વી. મનોજકુમાર, ડો. ભાસ્કરપ્રસાદ સાહા, કિંગશુક પોદર દ્વારા પરામર્શ કરવામાં આવ્યો હતો.

‘‘ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ અંગે રોહિંટન આર., રાજેન્દ્ર શાહ, અનુપ વાઢવા, નીતિન ઠાકર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ‘‘ડેવલપિંગ ફ્યુચર-રેડી વર્કફોર્સ ઇન એન્જનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ વિશે દેબોજ્યોતિ ભટ્ટાચાર્યજી, રાજેશ મંડલીક, અભિષેક પાઠક, વી. સેલ્વરાજ દ્વારા પેનલ ચર્ચા કરાઇ હતી.

મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જનિયરિંગ એસોસિએશન વચ્ચે MoU થવાથી બંને ઉદ્યોગોને વેગ મળશે: નરેન્દ્રભાઈ પાંચાણી

રાજકોટ એનજીનીયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશન વચ્ચે MoU થવાથી બંને ઉદ્યોગોને વેગ મળશે. સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી હવે રાજકોટમાં નિર્માણ પામશે, આથી મશીનરીની આયાત નહીં કરવી પડે અને દેશનું હૂંડિયામણ બચાવી શકીશું. બંને ઉદ્યોગો એકબીજાના પૂરક બની રહેશે.

વાયબ્રન્ટ સમીટ એટલે સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગને વિકાસ માટેનું પીઠબળ : ગૌતમ ધમસાનીયા

રાજકોટ સ્પીનર અસોસિએશનના ચીફ સેક્રેટરી ગૌતમ ધમસાનીયા જણાવે છે કે રાજ્કોટમાં યોજાયેલ આ સમીટ દ્વારા ગુજરાતના કપાસ ઉદ્યોગ ખૂબ વિકાસ પામશે. રાજ્ય સરકારની નીતિથી કપાસ ઉદ્યોગકારોને લાભ થશે, અને વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થઇ શકશે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૨માં જયારે ટેક્સ્ટાઇલ પોલિસી લાવ્યા ત્યારે ૩૫% યાર્ન નિકાસ થયું આગામી ૨૦૨૪માં નવી પોલિસી આવનારી છે ત્યારે તેનાથી ખેડૂતોને મોટા લાભ થશે. તેમજ ગુજરાત કોટનની ખેતીથી કોટન સ્ટેટ તરીકે પ્રખ્યાત છે અને તેનાથી જીનિંગ ટુ ગારમેન્ટ “જી ટુ જી”થી દ્વારા વેગ મળશે. જેથી ખરા અર્થે ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન થશે જેનો આનંદ છે. રાજકોટ તો હરહંમેશ ઉદ્યોગ માટે જાણીતું છે તેમાં આવા સુયોજિત આયોજન દ્વારા સરકારની વિવિધ પોલિસીથી વિવિધ ઉદ્યોગને પીઠબળ અને સહાય પુરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા આવી અવનવી પોલિસીઓ આવતી રહે દરેક ઉદ્યોગની ક્રાંતિ થાય તે ઉદ્યોગ માટે ગર્વની લાગણી રહેશે અત્રે ઉપસ્થિત રહી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકલોલ તાલુકાના કૃષિ મેળામાં ખેડૂતોને નિંદામણમાં જતી આયુર્વેદ ઔષધિની વિશેષ સમજ અપાઇ
Next articleનવસારી તાલુકાના ખડસૂપા ગામ ખાતે તાલુકા કક્ષા કળશ યાત્રાનું આયોજન