Home ગુજરાત બોગસ સંસ્થામાંથી બનાવટી ડીબીએ-એમબીએ..?, ફરી છેડાયો શંકરભાઈ ચૌધરીની ડીગ્રીનો વિવાદ….!!?

બોગસ સંસ્થામાંથી બનાવટી ડીબીએ-એમબીએ..?, ફરી છેડાયો શંકરભાઈ ચૌધરીની ડીગ્રીનો વિવાદ….!!?

818
0

– સરકારમાં સંવૈધાનિક પદ પર રહેનારા ધારાસભ્યએ રાજ્યની જનતાની સાથે-સાથે દેશ અને ચૂંટણી કમિશ્નરને અંધારામાં કેમ રાખ્યા…?
– ૨૫,ડિસે.૨૦૦૮ના રોજ NIM પર પડેલા દરોડાની વિસ્તૃત વિગતો જે તે સમયે પ્રતિષ્ઠીત અંગ્રેજી અખબારોમાં છપાયા હતા.

ગુજરાતના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી નકલી શૈક્ષણિક ડિગ્રીના વિવાદમાં રહેલા હોવા છતાં પણ ભાજપાએ તેમને ફરી એક વાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. શંકરભાઇ ચૌધરી ચોથી વખત ભાજપાની ટીકીટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમના હાલના દસ્તાવેજોને જો ધ્યાનથી જોવામાં આવે તો શંકરભાઇ ચૌધરી બાબતે ભાજપાના સૌથી મોટા સરદાર છે. ઉપલબ્ધ થયેલી માહિતી અનુસાર ચૌધરી ૧૯૮૭માં ધોરણ ૧૦ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા. ત્યારપછી તેમણે ધોરણ ૧૨ની પરીક્ષા ૨૦૧૧માં પસાર કરી. ભાજપાના આરોગ્ય મંત્રીની અતિ-જટિલ કથનીનો અહીં અંત આવતો નથી.
વર્ષ ૨૦૧૨માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ ચૌધરીએ જે સોગંદનામું દાખલ કર્યું હતું, તે મુજબ તેમણે પોતાનું શૈક્ષણિક લાયકાત એમબીએ દર્શાવેલ છે. હવે પ્રશ્ન એ થાય છે કે વર્ષ ૨૦૧૧માં ધો. ૧૨ પાસ કરીને એક જ વર્ષમાં એટલેકે વર્ષ ૨૦૧૨માં એમબીએ પૂર્ણ કરી લીધું તે કેવી રીતે શક્ય બની શકે છે. આપને જણાવી દઇએ કે આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં એક યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી. તદઉપરાંત મુખ્ય બાબત એ છે કે જે શૈક્ષણિક સંસ્થા (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)માંથી શંકરભાઇ ચૌધરીએ આ ઉપાધિ મેળવી છે, તેનું લાઇસન્સ તા. ૦૪ નવેમ્બર, ૨૦૦૭ના રોજ રદ્દ થઇ ગયેલ હતું. તો તેમને આ ઉપાધિ કેવી રીતે આપવામાં આવી.
આનાથી સ્પષ્ટ થાય છે કે શંકરભાઇ ચૌધરી આ નકલી ડિગ્રી મામલે ભાજપા સરકારમાં સંવિધાનિક હોદ્દો ધારણ કરતાં ગુજરાતની જનતાની સાથે-સાથે સમગ્ર દેશને અંધારામાં રાખતા આવ્યા છે. તેમના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઇએ. એક સંક્ષિપ્ત નજર નાંખીએ તો શંકરભાઇ ચૌધરી દ્વારા ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૦૭ના સોગંદનામામાં માત્ર ધોરણ ૧૦ પાસ દર્શાવવામાં આવ્યું છે. એમણે ધોરણ દસ વર્ષ ૧૯૮૭માં ઉત્તિર્ણ કર્યું હતું.
ત્યારપછી ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૧૨ના સોગંદનામાના પૃષ્ઠ નં. ૧૩માં દર્શાવવામાં આવ્યું છે કે ચૌધરી –
SSC – PASS છે
HSC –PASS છે
MBA –PASS છે
ત્યારપછી વર્ષ ૨૦૧૭માં ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામા (પૃષ્ઠ નંબર ૧૦)માં દર્શાવવામાં આવ્યું છે કે –
SSC -વર્ષ 1987- માં ઉત્તિર્ણ થયા
HSC -વર્ષ 2011 – માં ઉત્તિર્ણ થયા
DBA -વર્ષ 2007 – માં ઉત્તિર્ણ થયા
MBA -વર્ષ 2009- માં ઉત્તિર્ણ થયા
અત્યાર સુધી શંકરભાઇ ચૌધરી દ્વારા જે કંઇ પણ વિગતો રજૂ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે શંકાના દાયરામાં આપોઆપ આવી જાય છે.
હવે જે મુખ્ય મુદ્દો છે તેની મહત્વપૂર્ણ નોંધ આ મુજબ છે –
વર્ષ ૨૦૧૨ના સોગંદનામામાં ડીબીએ દર્શાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત ડીબીએ પછી બીબીએ શા માટે કરવામાં આવ્યું નથી અને કર્યું તો ક્યારે કર્યું? પ્રશ્ન એ પણ ઉદભવે છે કે વર્ષ ૨૦૦૯માં સીધી જ એમબીએની ઉપાધિ કેવી રીતે મેળવી. સૌથી મુખ્ય બાબત એ છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે જે હંમેશા વિવાદોના વમળમાં રહેલી શૈક્ષણિક સંસ્થા છે, તેનું લાઇસન્સ નંબર વર્ષ ૨૦૦૭માં જ રદ થઇ ગયું હતું તો પછી વર્ષ ૨૦૦૯માં શંકરભાઇ ચૌધરીએ એવી સંસ્થા પાસેથી કેવી રીતે ઉપાધિ હાંસલ કરી. અને આશ્ચર્યની બાબત તો એ છે કે આ બધી વિગતો સોગંદનામા દ્વારા ચૂંટણી આયોગ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આટલા મોટા ષડયંત્રમાં ફસાનારા ગુજરાતના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી વિરૂદ્ધ પોતાની સ્વચ્છ છબી દર્શાવનારી અને નૈતિક્તાના બોધપાઠ આપનારી ભાજપા અને તેના નેતા શંકરભાઇ ચૌધરીના આવા નકલી કારનામા સામે આંખ આડા કાન કરી રહી છે અને કાનમાં રૂ ભરીને ગુજરાતના શાસન પર વિજય મેળવવામાં કાર્યરત બની ગઇ છે. આનાથી વધુ શરમની વાત બીજી કઇ હોઇ શકે.

અત્રે એ બાબત પણ નોંધવી જરુરી છે કે ૨૫, ડિસે.૨૦૦૮ના રોજ વડોદરા પોલીસે અલકાપુરી ખાતે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (NIM)ની શાખા પર દરોડા પાડીને ૩૫૬ જેટલી બનાવટી ડીગ્રીઓ, ૬૩૭ માર્કશીટ અને અંદાજે ૧૦૦ જેટલા બનાવટી દાસ્તાવેજોનો જથ્થો જપ્ત કરીને તે વખતના એબીવીપીના સ્થાનિક નેતા કૌશલ દવેની ધરપકડ કરી હતી. કૌશલ NIM સંસ્થામાં વડોદરા ખાતે આસિ. મેનેજર તરીકે કામ કરતો હતો. આ દરોડાની વિગતો તે વખતે એક અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડીયામાં પ્રસિદ્ધ થયો હતો અને દરોડાની વિગતો તે વખતના વડોદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર (નોર્થ ઝોન) ગગનદીપ ગંભીરને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે પોલીસને આ સંસ્થા દ્વારા બનાવટી ડીગ્રી-ડીપ્લોમા પ્રમાણપત્રો આપવામાં આવે છે તેવી બાતમી મળી હતી. પોલીસે વોચ રાખીને એક બોગસ ગ્રાહકને પટેલ બીપીનચંદ્ર અંબુભાઈ બનાવીને આ સંસ્થામાં મોકલ્યો હતો. આ વ્યક્તિએ NIM સંસ્થાને કહ્યું કે તે માત્ર ધો.૭ પાસ છે અને વાયરમેન છે તથા તેને મીકેનીકલ એન્જીનીયરીંગ માસ્ટર ડીગ્રી જોઈએ છે. NIM સંસ્થા દ્વારા ૩૦ હજારમાં સોદો નક્કી થયો. આ વ્યક્તિએ પૈસા ચૂકવ્યા અને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર તેને ૨૦૦૩ના વર્ષની માસ્ટર ડીગ્રી બનાવટી અને તે પણ એ-ગ્રેડ સાથે આપવામાં આવી અને ત્યારબાદ પોલીસે દરોડો પાડ્યોને બનાવટી ડિગ્રી-ડીપ્લોમા વગેરેનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આ NIM નામની બોગસ શૈક્ષણિક સંસ્થા લોકસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અને સંસ્થા એવો દાવો કરે છે કે તે આઈ.એસ.ઓ. સર્ટિફાઈડ છે. પોલીસે કહ્યું કે આ સસ્થાએ અત્યાર સુધીમાં એટલે કે ૨૦૦૮ માં દરોડો પડ્યો ત્યાં સુધીમાં ૨ હજાર બનાવટી પ્રમાણપત્રો આપ્યા હશે. આ સંસ્થા ૨૦૦૭મા જ શરૂ થઇ છતાં તે ૧૯૯૯ના વર્ષના બનાવટી પ્રમાણપત્ર-ડિગ્રી વગેરે મોટી રકમ લઈને આપે છે જેમાં એમબીએ, હોટેલ મેનેજમેન્ટ અને એન્જીનીયરીંગની બનાવટી ડિગ્રીઓ આપે છે.
સોશ્યલ મીડિયામાં ટાઈમ્સના આ અહેવાલ અને અન્ય બ્લોગ તથા બનાવટી યુનિ.-સંસ્થાઓની યાદી આપી છે જેમાં NIM સંસ્થાનો પણ સમાવેશ થાય છે. સીમ્પલી કેરિયર ડોટ નેટમાં આપેલી વિગતો દર્શાવે છે કે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(NIM), મલાડ મુંબઈની છે અને તે ૬ મહિનામાં એમબીએની બનાવટી ડિગ્રી આપે છે. એટલુજ નહિ પણ ૬ માસમાં એન્જીનીયરીંગની ડિગ્રી અને ડીપ્લોમા પણ આપે છે. નેશનલ ફ્રોડ ડોટ બ્લોગપોસ્ટમાં NIMની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને તે અમેરિકાની કોઈ આયવરી કાર્લસન યુનિ.ની બનાવટી ડિગ્રી આપે છે. અને તે યુજીસી અને એઆઇસીટીઇ સાથે માન્યતા પ્રાપ્ત નથી. સુત્રો આ વિસ્તૃત વિગતો દર્શાવીને કહે છે કે રાજ્યકક્ષાના મંત્રી શંકરભાઈ ચૌધરી કે જેઓ ૨૦૦૭માં પણ જવાબદાર ધારાસભ્ય હતા ત્યારે તેમણે ૨૦૦૮મા જેની માન્યતા રદ થઇ, ૨૦૦૮માં વડોદરામાં જે NIM સંસ્થાની શાખામાંથી બનાવટી ડિગ્રી-ડિપ્લોમાનો જથ્થો ઝડપાયો તે સંસ્થા પાસેથી કઈ રીતે ડીબીએ અને એમબીએની ડીપ્લોમા-ડીગ્રી લીધી? શું તેમની આ ડીગ્રી-ડીપ્લોમા બનાવટી છે? શું વડોદરા પોલીસે ડિસે.૨૦૦૮માં પાડેલો દરોડો બોગસ છે? પોલીસે ધરપકડ કરેલા એબીવીપીના નેતા કૌશલ દવે પણ બનાવટી છે? શું તે વખતના વડોદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર ગગનદીપ ગંભીર પણ બોગસ છે? સોશ્યલ મીડિયામાં આ પ્રશ્નો સાથે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે શંકરભાઈ ચૌધરીએ પણ પૈસા આપીને બનાવટી ડીગ્રી-ડિપ્લોમાની પદવી સ્નાતક થયા વગર મેળવી છે? ચૂંટણીપંચને આપેલી એફીડેવીટમાં જે NIM (એનઆઈએમ) સંસ્થાનો ઉલ્લેખ કર્યો છે તે સંસ્થા તો બોગસ હોવાના પુરાવા ઉપલબ્ધ છે ત્યારે એક જવાબદાર ધારાસભ્ય તરીકે તેમણે આવી બોગસ સંસ્થામાંથી બનાવટી ડીબીએ, એમબીએની પદવી લેવાની શું ફરજ પડી? આ તમામ પ્રશ્નો શંકાના ઘેરામાં છે ત્યારે ભાજપના રાજ્યકક્ષાના આ મંત્રીએ ચુંટણીપંચને આપેલી માહિતી ખોટી હોય તેમની ચુંટણી રદ થઇ શકે તેમ છે. ભાજપના કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાત શંકાના ઘેરામાં આવી હતી તેમ હવે રાજ્યકક્ષાના મંત્રી શંકરભાઈ ચૌધરીની NIM સંસ્થાની ડીબીએ અને એમબીએની પદવીઓ સામે પણ શંકાની સોય ધરવામાં આવી રહી છે ત્યારે તેના ખુલાસા મતદારો ઈચ્છે તે સ્વાભાવિક છે એમ પણ સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશંકર ચૌધરી ડીપ્લોમા પછી સીધા માસ્ટર, તો સ્નાતકની પરીક્ષા ક્યારે આપી?
Next articleગુજરાતમાં 22 વર્ષ સાશન પછી પણ મોદીજીએ ચૂંટણી જીતવા રામ મંદિરનો સહારો કેમ લેવો પડ્યો..?