(જી.એન.એસ) તા. ૨૪
ગાંધીનગર/બનાસકાંઠા,
વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની માહિતી આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તાના નેટવર્કને વધુ મજબૂત કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કુલ ૧૪૮ કિમીના રસ્તાઓ માટે રૂ. ૨૪૬ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ઇકબાલગઢથી સુરેલા-ધનપુરા-વિરમપુર-અંબાજી રોડના નવનિર્માણ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે,
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને વિરમપુર થઈને યાત્રાધામ અંબાજીને જોડતા મહત્વના માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯.૮૦ કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે. જેમાં રોડની વાઈડનીંગની કામગીરી, માટીકામ, મેટલકામ, ડામરકામ, સી સી કામ, જરૂરી પ્રોટેકશન વોલ, ગટરકામ તથા રોડ ફર્નીસિંગ સહિતની તમામ કામગીરીનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ રોડના વિકાસથી ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં ખેતપેદાશો લઈને આવતા ખેડૂતોને મોટી સુવિધા મળશે. આ ઉપરાંત ૩ પ્રાથમિક શાળાઓ અને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આસપાસના ચાર ગામોના અંદાજે ૧૩ હજાર કરતા વધુ નાગરિકોને પરિવહનનો સીધો લાભ મળશે.
રોડની પહોળાઈ અને માપદંડો વિશે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રસ્તાની પહોળાઈ વધારવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કામગીરી કરવામાં આવે છે. રસ્તાની પહોળાઈ ૩.૭૫ મીટરથી વધારીને ૫.૫૦ મીટર કે ૭ મીટર કરવા માટે પેસેન્જર કાર યુનિટ-PCUના માપદંડો મુજબ કામગીરી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, જો જમીન સંપાદન, રેલવે લાઈન કે વીજ લાઈન જેવા વ્યાજબી કારણો વિના કોઈ કોન્ટ્રાક્ટર કામમાં વિલંબ કરે તો સરકાર દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં, આવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાથી લઈને બ્લેકલિસ્ટ કરવા સુધીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

