Home જનક પુરોહિત ચુંટણીમાં ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિ એટલે કોઠી ધોઈને કાદવ ઉલેચવો

ચુંટણીમાં ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિ એટલે કોઠી ધોઈને કાદવ ઉલેચવો

1563
0

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કા માટેનું નોટીફીકેશન બહાર પડી ચૂક્યું છે . એટલે કે ચુંટણી પ્રક્રિયા શરુ થઇ ચુકી છે . ૧૯૯૫ થી સત્તામાં રહેલા ભાજપ માટે ૨૦૧૭ ની ચુંટણીમાં હવે એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવો મુશ્કેલ લાગે છે . પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ને ભાજપ સહુથી વિશેષ પડકારરૂપ માનતો હોય એવું લાગે છે . કારણ કે રાષ્ટ્રીય પ્રમુખ થી લઈને પ્રદેશ ભાજપનું સંગઠન અને સરકાર હર્દીકનો વિરોધી પ્રચાર કરવામાં સતત પ્રવૃત છે .
ભાજપના એક પ્રદેશ નેતા સાથે વાતચીત કરી . હાર્દિક પટેલની સતત આલોચનાના કારણે જ હાર્દિક એક મોટું ફેક્ટર બનીને ભાજપ સામે પડકાર રૂપ બન્યો છે . તો ભાજપને આટલો ડર શા માટે ? આવા દોઢ ડાહ્યા ના પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં નેતાજી ખંધુ હસ્યા . પછી વાત શરુ કરી “ આમાં એવું છે કે , અમારી દરેક ચુંટણીનો દોર પાટીદારો એ સંભાળ્યો છે , અને અમને સતત વિજય અપાવ્યો છે . ગુજરાત ભાજપમાં આર.સી.ફળદુ , રૂપાલા , માંડવીયા , કે.સી.પટેલ , ભીખુભાઈ , દિલીપ સંઘાણી આ નેતાઓ અને સુરત ખાતેના પાટીદારો આ તમામના તાલમેલથી અમે ધાર્યું પરિણામ લાવી શકીએ છીએ . દરેક જિલ્લામાં ભાજપની ચુંટણીનું તંત્ર કોઈ ને કોઈ પાટીદાર નેતા જ સંભાળતા હોય છે . પાંચ દશ લાખ ખર્ચવા પડે તો ખર્ચી નાખતાં હોય છે . હવે હાર્દિકના કારણે કે જે કોઈના કારણે ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલ્યું તેનાથી ભાજપ અને પાટીદારો વચ્ચે એક અવિશ્વાસની ખાઈ સર્જાઈ છે . અને માટે અમને પાટીદાર ફેક્ટરનો ડર સતત સતાવી રહ્યો છે .”
નેતાજી ને પૂછ્યું કે તમે હવે છેલ્લે હાર્દિકના ચારિત્ર્ય હનન તરફ વળ્યા છો . તો શું સેક્સ સીડીના માધ્યમ થી સફળતાની સીડી ચઢી જવાશે ? નેતાજી નો જવાબ હતો “ નાં , બિલકુલ નહિ . અમારા જે કોઈ નેતા આ પ્રવૃત્તિ કરતા હશે , તેઓ વગર વિચાર્યું કરી રહ્યા છે . રાજકારણીઓએ એક બીજાના ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિથી દુર જ રહેવું જોઈએ . કોઠી ધોઈને કાદવ ઉલેચવા જેવું જ છે તેમાં થતું હોય છે . ચારિત્ર્ય એ વ્યક્તિગત બાબત છે . તેને કોઈ પક્ષ કે સંસ્થા સાથે જોડીને બદનામ કરી શકાય નહિ . હાર્દિક કોઈ ચૂંટાયેલો કે સરકારમાં નિમાયેલો વ્યક્તિ નથી . યુવાન છે , કુવારો છે . અને પાટીદાર સમાજે તેની સીડી નો કોઈ વિરોધ કર્યો નથી . પણ ભાજપના નેતાઓ સામે અનેક આક્ષેપો થયાં છે . આ બધું ફરી પ્રચારમાં ઉમેરાતું જશે . તેનાથી ભાજપને ફાયદા કરતાં નુકસાન વધુ છે . ચુંટણી લડવા અને જીતવા માટે બીજા અનેક મુદ્દાઓ હોય છે જ . કોંગ્રેસ પક્ષ અને યુ.પી.એ સરકાર સામે ઘણું બોલી શકાય તેમ છે . પાટીદાર આંદોલન અને અનામત અંગે પણ કાયદો અને બંધારણીય જોગવાઈઓ ઉપર બોલી શકાય તેમ છે . એવું કશું કરવાના બદલે હાર્દિકની સીડીઓ જાહેર કરવાથી તો હાર્દિક વધુ સ્ટ્રોંગ અને આક્રમક બનશે . આવું હું વિચારું છું . બાકી અમારા ભાજપ પક્ષમાં લશ્કર ક્યાં લડે છે એ કોઈને ખબર હોતી નથી . કોની સુચના થી કોણ આવી પ્રવૃત્તિ કરે છે તેમાં અમે પડવા માંગતા પણ નથી .”
મિત્રએ વાસ્તવિક્તા સ્વીકારીને વાત પૂરી કરી .
નરેન્દ્ર મોદીના ગ્રહયોગો સુધરેલા જ છે , રાહુલ બાબા ના સુધર્યા છે , અને બાપુના ગ્રહો સુધરવાના છે .
ચુંટણીના સમયે નેતાઓની ગ્રહ – નક્ષત્ર અને જ્યોતિષ – તંત્ર – મંત્ર પર શ્રદ્ધા વધી જતી હોય છે . અને તેમાં દેશના ટોચના નેતાઓથી લઈને ગ્રામ પંચાયતના સભ્ય સુધી સહુ કોઈ એક સમાન હોય છે .
ગુજરાત વિધાનસભાની ચુંટણી આવતા કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનો વ્યાપક પ્રવાસ કર્યો . આ પ્રવાસ અંગે ગાંધીનગર બાપુના વસંત વગડે એક મિત્ર સાથે વાતચીત ચાલતી હતી . કોંગ્રેસમાંથી તાજેતરમાં જ અલગ પડેલા મિત્ર એ કહ્યું “ ગમે તે કહો પણ હવે રાહુલ ગાંધીના ગ્રહો સુધરી ગયા હોય એવું લાગે છે . તેમણે ગુજરાતમાં ચાર વખત પ્રવાસ કર્યો અને એક પણ પ્રવાસમાં તેમના વક્તવ્ય થી કોઈ વિવાદ સર્જાયો નથી . એટલું જ નહિ , પ્રજાનો આવકાર અને ઉમળકો પણ આંખે વળગે એવો રહ્યો .”
અન્ય મિત્રએ કહ્યું “ તમને ખબર છે ? આપણા બાપુને પણ એક જ્યોતિષીએ કહ્યું છે , હવે ના પાંચ વર્ષ ગ્રહયોગો રાજયોગ સર્જે છે . તમે જો જો ચુંટણી પછી એવી સ્થિતિ ઉભી થશે , કે બાપુને જ મુખ્યમંત્રી બનાવવા પડશે .”
દોઢ ડાહ્યા એ કહ્યું “ અલ્યા મિત્રો રાહુલ બાબાના ગ્રહો હવે સુધર્યા છે , બાપુના ગ્રહો હવે સુધરવાના છે , પણ આપણા નરેન્દ્રભાઈ મોદીના ગ્રહોતો ૨૩ વર્ષ થી સુધરેલા જ છે . એ બગડવા ના નથી , તો ગુજરાતમાં તેમના સુધરેલા ગ્રહોની અસર કશી નહિ થાય ?”
મિત્રનો જવાબ હતો કે એતો જ્યોતિષીને પૂછવું પડે . એવું પણ બનેને કે હવે મોદી સાહેબના ગ્રહો બગડતા પણ હોય !
ભાજપમાં ટિકીટો મેળવનારા કરતાં ગુમાવનારા વધુ પ્રસિદ્ધિ મેળવશે
અત્યારે ભાજપ અને કોંગ્રેસમાં મુખ્ય ચર્ચા ઉમેદવારોની યાદી અંગે ચાલે છે . કોને ટિકિટ મળશે અને કોણ કપાશે . તેના વિષે તર્ક – વિતર્કો ચાલી રહ્યા છે .
ભાજપના એક ટીકીટના દાવેદાર મિત્ર સાથે ફોન પર વાતચીત ચાલતી હતી . તેમને પૂછ્યું કે તમારું નામ હજુ કોઈ મિડિયાએ ચલાવ્યું નથી . નામ તો વહેતું મુકો ટિકિટ મળે કે ન મળે પ્રસિદ્ધિ તો મળે . તો મિત્રનો જવાબ હતો “ અત્યારે પ્રસિદ્ધિ નો મોહ નુકસાન કરે એમ છે . જો નામ મીડિયામાં ચાલ્યું તો પાંચ કાર્યકર મિત્રો વાત કરતાં બંધ થઇ જશે . અને સાચું કહું તો આ વખતે તો એવું લાગે છે કે ટિકિટ મેળવનારા કરતા જેઓ વર્તમાન ધારાસભ્ય અને મંત્રીઓ છે , તેમની ટિકીટો કપાતા તેમને પ્રસિદ્ધિ વધુ મળશે . સમાચારમાં ટિકિટ મેળવનાર કરતાં પડતા મુકાશે તેઓ ના ઉપર જ મિડિયા ફોકસ કરશે .”
મિત્રને કહ્યું કે યાર , છેલ્લે છેલ્લે પ્રસિદ્ધિ લઇ લેવા દો પછી ક્યા કોઈ તેમને યાદ કરવાનું હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષણ માટે બાપુની ટી-20 સામે મોદી ટેસ્ટ મેચ રમ્યા અને મેચ ડ્રો થઇ
Next articleઆપણે તો મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?