(જી.એન.એસ) તા. 22
દેહરાદુન,
ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પસાર કરવામાં આવ્યું હતું. જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક, 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન ખરીદી શકે નહિ. આ સિવાય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ ખરીદતા પહેલા વેચનારાને સબ-રજિસ્ટ્રાર સમક્ષ એક સોગંદનામું રજૂ કરવું પડશે. જેમાં જણાવવામાં આવ્યું હશે કે તેણે અથવા તેના પરિવારે રાજ્યમાં ક્યાંય પણ રહેણાંક હેતુ માટે 250 ચોરસ મીટરથી વધુ જમીન ખરીદી નથી.
મહત્વની વાત છે કે, જે બે જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ નથી, તે છે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર. આ સંશોધન નગર નિગમ સરહદની બહાર જમીન ખરીદી પર લાગુ થાય છે. રહેણાક ઉપયોગ માટે વગર મંજૂરીએ 250 ચોરસ મીટર જમીન ખરીદવાની મંજૂરી આપતી જોગવાઈ હજુ પણ અમલમાં રહેશે.
આ નિર્ણયથી રાજ્યના સંસાધનો, સાંસ્કૃતિક વારસો અને નાગરિકોના અધિકારોનું રક્ષણ થશે. તેમણે કહ્યું કે અમારી સરકાર લોકોના હિત માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને તેમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દે. ચોક્કસપણે આ કાયદો રાજ્યની મૂળ પ્રકૃતિ જાળવવામાં મદદરૂપ સાબિત થશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંત્રિમંડળે બુધવારે વિધેયકને મંજૂરી આપી દીધી હતી. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 2021માં ભૂમિ કાયદા પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ 2022માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. હાલના સંશોધનમાં સરકારે તે તમામ જોગવાઈઓ હટાવી દીધી છે, જેનાથી મૂળ કાયદામાં નિર્ધારિત 12.5 એકર ઉપરાંત વધારાની જમીનને પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ અને અન્ય ઉપયોગો માટે કોઈપણને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

