(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરી’ ૨૦૨૫ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે. અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨ સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- ૧૯૭૨ની કલમ-૨૮ તથા ૩૩ થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.



