Home ગુજરાત કચ્છ વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’

વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’

43
0

(G.N.S) Dt. 20

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું…

યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ

ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ

કચ્છના ધોરડો ને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે કચ્છ-ગુજરાતને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનું ઘોરડો માત્ર પ્રવાસન જ નહી પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું પણ કેન્દ્ર બન્યુઃ પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૦૦૬થી ઘોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. આજે ‘ઘોરડો’ આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.

આ ઓળખના પરિણામ સ્વરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ એવોર્ડ ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એનાયત કરવામાં આવ્યો છે.

વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે તા. ૧૯ ઓક્ટોબરના રોજ UNWTOના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-૨૦૨૩’ એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વર્ષ ૨૦૨૧થી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.

UNWTO નામાંકન કરાયેલા ગામોનું મૂલ્યાંકન સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનોના પ્રમોશન અને સંરક્ષણ, આર્થિક ટકાઉપણું, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય ટકાઉપણું, પ્રવાસન સંભવિત અને વિકાસ અને મૂલ્ય શૃંખલા એકીકરણ સહિતના ૯ ક્ષેત્રોને આવરી લેતા માપદંડોના આધારે સ્વતંત્ર સલાહકાર બોર્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ તમામ ૯ ક્ષેત્રોમાં થયેલી ઉત્તરોત્ર પ્રગતિને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯ અને ૨૦૧૫ માં તેમણે લીધેલી ધોરડોની મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમજ બીજા લોકોને ધોરડોની મુલાકાત લેવા પ્રેરણા મળે તે માટે લોકોને તેમની ધોરડોની જૂની મુલાકાતોની યાદો #AmazingDhordoનો ઉપયોગ કરી શેર કરવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છના ઘોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે.
તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને “વસુધૈવ કુટુમ્બકમ”નો મંત્ર સાકાર કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રવાસન વિભાગ અને લાખો ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનું ઘોરડો માત્ર પ્રવાસન જ નહી પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું કેન્દ્ર પણ બન્યું છે. ઘોરડોમાં રણોત્સવ ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમી-LBSNAAના ઓફિસરોની તાલીમ, G-20ની પ્રવાસન બેઠક, વિવિધ ચિંતન શિબિર, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ઓલ ઇન્ડિયા મિનિસ્ટર્સ કોન્ફરન્સ, ઓલ ઇન્ડિયા DG/IG સમિટ તેમજ વિવિધ મહાનુભાવો સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે.

ઘોરડોના રણોત્સવમાં વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૨.૪૨ લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી આપવામાં ઘોરડો મહત્વનું પ્રવાસનધામ સાબિત થયું છે. આ એવોર્ડ પ્રાપ્ત થવાથી હવે ઘોરડો વધુને વધુ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી રોજગારીમાં વધારો થશે તેમ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરીને આ સિદ્ધિ બદલ પ્રવાસન વિભાગના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારે ધોરડોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સતત કામ કર્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું પણ આયોજન કરે છે જે ૪ મહિના સુધી ચાલે છે. રણોત્સવ એ ભારત અને વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય પ્રસંગ છે, જ્યાં વિશ્વભરના લોકો ધોરડો અને તેની આસપાસના કુદરતી સૌંદર્યને વર્ષ ૨૦૦૬થી રેકોર્ડ સ્તરે માણવા આવે છે. એટલું જ નહીં, રણ ઉત્સવ એ ધોરડોની સૌથી વધુ આવક પેદા કરતી આર્થિક પ્રવૃત્તિઓમાંની એક છે.

ભારતના પશ્ચિમ ખૂણામાં કચ્છના રણમાં આવેલું ધોરડો એ વિશ્વના સૌથી રસપ્રદ કુદરતી સ્થળોમાંનું એક છે. થાર રણમાં હાજર વિશાળ સોલ્ટ માર્શ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, આગાઉ વર્ષ ૨૦૧૭-૧૮માં રાષ્ટ્રીય સ્તરે મોસ્ટ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્રોજેક્ટ ઈનિશેટીવ માટે કચ્છના ઘોરડોની પસંદગી કરીને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૪ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવા મહત્ત્વના સમયે ગુજરાતને મળેલું આ આંતરરાષ્ટ્રીય સન્માન આગામી વાઈબ્રન્ટ સમિટમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણ અને રોજગારીની અપાર સંભાવનાઓને ચોક્કસપણે પ્રેરણા આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકિયારા અડવાણી, રાશી ખન્ના, સમન્તા પ્રભુ, રશ્મિકા મંદન્ના સુધી: 5 અભિનેત્રીઓ જે અખિલ ભારતીય સિનેમા પર પ્રભુત્વ ધરાવે છે
Next articleગાંધીનગરના સંસદ સભ્ય તથા દેશના ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા તેમના મતવિસ્તારના ખેડૂતોને ઘઉં અને ડાંગરના પાકનો વાવેતર વિસ્તાર ઘટાડવા તેમજ કઠોળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવા માટે અનુરોધ