કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં વધુ એક નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે, વરિષ્ઠ નેતા મિલિકાર્જુન ખડગે પણ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઇનકાર બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ પદના ત્રીજા ઉમેદવાર તરીકે જોવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, આ પહેલા શશિ થરૂર અને દિગ્વિજય સિંહના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી ચુકી છે અને તેઓ આજે પોતાનું નામાંકન ભરશે.
જો કે મલ્લિકાર્જુન ખડગે આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ પક્ષના સૂત્રોનો દાવો છે કે, ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે અને ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેના નજીકના સૂત્રોએ અગાઉ સંકેત આપ્યો હતો કે, તેઓ પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાના વિરોધી નથી, પરંતુ સોનિયા ગાંધીની સૂચના પર જ આગળ વધશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગે નેહરુ-ગાંધી પરિવારના ભરોસાપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે.
ગાંધી પરિવારના મનપસંદ ઉમેદવાર ગણાતા ગહેલોત રેસમાંથી બહાર થયા બાદ 17 ઓક્ટોબરે યોજાનારી AICC અધ્યક્ષ પદની ચૂંટણી માટે ખડગેનું નામ ચર્ચામાં છે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વાપસીની હિમાયત કરી રહેલા 80 વર્ષીય ખડગેનું માનવું છે કે, લોકસભાની ચૂંટણી માત્ર બે વર્ષ દૂર છે અને દેશનો પ્રવાસ કરવો અને પાર્ટીને આગળ લઈ જવું એ એક ” ખુબ મોટું કાર્ય” છે. નજીકના સહયોગીએ કહ્યું કે, “તેમણે (ખડગે) પાર્ટી દ્વારા કહેવામાં આવેલી કોઈપણ વાતને નકારી ન હતી. પાર્ટીએ તેમનું ધ્યાન રાખ્યું છે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે.
અહીં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મનીષ તિવારીના નામની પણ ચર્ચા છે. આ મુદ્દે પાર્ટીના ‘G23’ ગ્રુપના ચાર સભ્યો આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચૌહાણ અને મનીષ તિવારીએ ગુરુવારે બેઠક યોજી હતી. છેલ્લા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે, મનીષ તિવારી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે, જોકે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે, તેમને હજુ સુધી ઉમેદવારી પત્રો મળ્યા નથી. માનવામાં આવે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અશોક ગહેલોતના ઇનકાર બાદ આજે ઘણા ઉમેદવારો મેદાનમાં આવી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને 24 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 30 સપ્ટેમ્બર સુધી હતી. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.