રાજ્યભરમાં ગાંધી જયંતીને લઈને અલગ અલગ આયોજન થઈ રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરમાં તબીબોએ અહિંસા રેલી કાઢી તબીબોને બચાવવા માટે પગલાં લેવાની માંગ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજકોટમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ક્રિટિકલ કેર સોસાયટીએ રેસકોર્સમાં અહિંસા રેલી કાઢી હતી જેમાં તબીબોએ ગાંધીજીની વેશભૂષા સાથે સેવ ધ સેવિયર એટલે કે ‘બચાવનારાને બચાવો’ના નારા અને પ્લે કાર્ડ સાથે તબીબો પર થઇ રહેલા હુમલાઓ રોકવા કડક કાયદાની માંગ કરી હતી.
‘છેલ્લા ઘણા સમયથી તબીબો અને તેના સહાયક સ્ટાફ પર હુમલા તથા હિંસાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે દર્દીઓના સગા ઉશ્કેરાઈને હુમલા, હાથાપાઈ, માથાકૂટ કરે છે જેથી મેડિકલ ક્ષેત્રમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. કોરોનાકાળમાં તબીબોએ પોતાના જીવની પરવાહ કર્યા વગર સારવાર કરી હતી તબીબો પોતાની ફરજ ક્યારેય ચૂક્યા નથી પણ હવે લોકોને બચાવવા પ્રયાસ કરતા તબીબોને ખુદના બચાવ માટે મેદાનમાં આવવું પડ્યું છે. સરકાર કડક કાયદા બનાવી તેનો અમલ કરાવી તબીબોનું મોરલ જળવાય તેવું સુરક્ષિત વાતાવરણ આપે.’
રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્વચ્છ શહેર અને સુરક્ષિત ડોક્ટર હશે તો જ સ્વસ્થ સમાજની રચના થઈ શકશે તેથી જ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજના સહકાર માટે પ્રાર્થના કરી અહિંસા રેલી કાઢી હતી જેમાં અલગ અલગ પ્લે કાર્ડ અને સૂત્રો સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.