૧૧મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૧૦૪ મેડલ આપી સન્માનિત કરાશે
(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
ગુજરાત સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સવારે ૧૧:૦૦ કલાકે, ટાઉન હોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે.
આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે જમ્મુની શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. બી.એન. ત્રિપાઠી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ૫૮૧ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૯૪ વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના ૬૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ૦૩ વિદ્યાર્થીઓને ચાન્સેલર સુવર્ણ ચંદ્રક, ૦૬ વિદ્યાર્થીઓને વાઈસ ચાન્સેલર સુવર્ણ ચંદ્રક તેમજ ૮૮ વિદ્યાર્થીઓને વિવિધ દાતાશ્રીઓ તરફથી સુવર્ણ મંડિત રજત ચંદ્રક એનાયત કરવામાં આવનાર છે. આ સમારંભમાં કુલ ૧૦૪ મેડલ એનાયત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ૭ વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવનાર છે તેમ, ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. એન. એચ. કેલાવાલાની યાદીમાં જણાવવાયું છે.

