અમદાવાદમાં ગટર સફાઈ દરમિયાન જે દુઃખદ ઘટના બની છે, એવી ઘટના ગુજરાતમાં ક્યાંય પણ બનવી જોઈએ નહીં:-આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવાર
(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે અમદાવાદની મુલાકાત દરમિયાન એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને સફાઈકર્મીઓના સંગઠનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે વસ્ત્રાપુર વિસ્તારમાં બોડકદેવ નજીક નયનદીપ એપાર્ટમેન્ટની ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામેલ ઘટના સંદર્ભે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી.
આ અંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં ગટર સફાઈ દરમિયાન જે દુઃખદ ઘટના બની છે, એવી કોઈપણ ઘટના ગુજરાતમાં ક્યાંય પણ બનવી જોઈએ નહીં. MS Act-2013 ની જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિ પાસે સુરક્ષાના સાધનો વિના સાફ-સફાઈ કરાવવી નહીં તેમ જણાવી તેમણે કહ્યું કે, ગટરની દુર્ગંધના લીધે આપણે જે જગ્યાએ ઊભા પણ નથી રહી શકતા, તેવી જગ્યાએ સફાઈકર્મી માત્ર બે-ત્રણ હજાર રૂપિયા માટે ગટરમાં ઉતરે છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી આપણી છે.
આયોગે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અંજની વાલ્મીકિ ફાઉન્ડેશન સામે FIR કરવામાં આવી છે, તેના બદલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે FIR કરી કાર્યવાહી કરવામાં આવે. આયોગે મૃતકના પરિવારને રૂ. 30 લાખની સહાય ચૂકવવા આદેશ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગટરોની સાફ- સફાઈ મશીનોથી જ કરાવવામાં આવે. જો મશીનોથી ગટરની સફાઈ કરવામાં આવી હોત તો માનવ જિંદગી બચાવી શકાઈ હોત તેમ તેમણે ઉમેર્યું હતું.
આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સફાઈકર્મીઓનું આટલું સન્માન કરે છે ત્યારે આપણે પણ તેમનું સન્માન કરી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીએ.
આ બેઠકમાં કલેકટર શ્રી સુજીત કુમાર, અધિક પોલીસ કમિશનર શ્રી જયપાલસિંઘ રાઠોડ, DCP શ્રી શિવમ વર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, સફાઈકર્મીઓના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
