Home ગુજરાત ૧૦મા VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને...

૧૦મા VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો’ગ્લોબલ ટ્રેડ શો’ યોજાશે

18
0

ભારતના સૌથી મોટા ટ્રેડ-શોનું તા. ૦૯ જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  ઉદઘાટન કરશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે

વિશ્વના ૨૦ દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ -શોમાં સહભાગી થશે : ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું ૧૦૦ ટકા બુકિંગ પૂર્ણ

ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે: RBSMમાં ૧૦૦થી વધુ દેશો ભાગ લેશે

ટ્રેડ શોમાં ‘મેઈક ઇન ગુજરાત’- ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ થીમ આધારિત ૧૩ હોલ

‘આત્મનિર્ભર ભારત’ને ચરિતાર્થ કરવા અંદાજે ૪૫૦ MSME એકમો સહભાગી થશે

ગ્લોબલ ટ્રેડ શો તા. ૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે

(જી.એન.એસ),તા.૦૭

ગાંધીનગર,

રાજ્યમાં દર બે વર્ષે યોજાતા ૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. ૦૯ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- ૨૦૨૪ યોજાશે.

બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી  મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું તા.૦૯ જાન્યુઆરીના રોજ સાંજે ૦૩.૦૦ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

 આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશ- વિદેશના મહાનુભાવો,ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો તા.૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, UAE -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે.

આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે. ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું ૧૦૦ ટકા બુકિંગ પૂર્ણ થયું છે.

આ ઉપરાંત ટ્રેડ શોમાં કુલ-૧૩ હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ ૧૩ થીમ નક્કી કરાઇ છે.વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે ૪૫૦ MSME એકમો સહભાગી થ‌ઈ રહ્યા છે. જેમાં મહિલા સશક્તિકરણ, MSME વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા વગેરે પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IT અને ITES સ્ટાર્ટઅપ્સ અને તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા ટેકેડ પેવેલિયન તૈયાર કરાયું છે. ટ્રેડ શો દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓ-

મુખ્ય પેવેલિયનમાં નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ એનર્જી સહિત આર્થિક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂકાશે.

આંતરરાષ્ટ્રીય અને થીમ પેવેલિયન:-

આ પેવેલિયનમાં વિવિધ ૨૦ દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ, સિંગાપોર, UAE (સંયુક્ત આરબ અમીરાત), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, જાપાન, રવાન્ડા, ઇન્ડોનેશિયા અને વિયેતનામ  દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે.

ટેકેડ પેવેલિયન‌:ઇનોવેશન ટેકેડપેવેલિયન-

 આઇટી-ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઇટીઇએસ-ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત  સેવાઓ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે થયેલા સંશોધનો અને સિદ્ધિઓની માહિતી પ્રદર્શિત કરશે.

ગુજરાત એક્સપિરિયન્સ ઝોન:-

ગુજરાત એક્સપિરિયન્સ ઝોન રાજ્યનો વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી ગુજરાતના વ્યાપક સાંસ્કૃતિક  યોગદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વિશ્વ ફલક પર સ્થાન પામેલ ગુજરાતનો ગૌરવપૂર્ણ કળા વારસો, પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક વારસો અને પ્રવાસનના બહુઆયામી અનુભવો સાથે આધુનિક આર્કિટેકચર અને કળાનો સમન્વય આ પ્રદર્શન  મારફતે વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીની પ્રથમ ઝલક આપે છે.

સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો- MSME, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક

ઔદ્યોગિક ક્ષેત્રના સશકતીકરણ માટે મહિલા ઉદ્યોગસાહસિકો અને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)નો વિકાસ અતિ આવશ્યક છે. આ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ થઇ છે. આ પ્રદર્શનમાં ૩૫૦થી વધુ MSMEને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

ઈ-મોબિલિટી-

ઊર્જા સક્ષમ અને ભાવિ પરીવહનની જરૂરિયાતો પૂર્ણ કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અતિ આવશ્યક બનતો જાય છે. ઇ-મોબિલિટી પેવેલિયન મારફતે ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે. અદ્યતન ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ગતિશીલતા જેવી બાબતોની માહિતી અહી ઉપલબ્ધ બનશે. પ્રતિભાગીઓને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશનમાં નવીનતમ એડવાન્સમેન્ટ્સ શોધવાની તક મળશે, નવીન વાહન મોડલથી લઈને અત્યાધુનિક ચાર્જિંગ તકનીકો એમજી હેક્ટર, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, ટેસ્કો ચાર્જઝોન વગેરે જેવી કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે.

બ્લુ ઈકોનોમી-

આ પેવેલિયનમાં પ્રતિભાગીઓને દરિયાઈ ઉદ્યોગોના ટકાઉ અને ગતિશીલ વિકાસને વિશ્વ સમક્ષ  ઉજાગર કરશે. લોજિસ્ટિક અને મરીન ટેક્નોલોજીને હાઈલાઈટ કરીને, પેવેલિયન દરિયાઈ સંસાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની ભારતની શક્તિને રેખાંકિત કરશે.

નોલેજ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ્સ-

આ ડોમમાં ઈનોવેશન માટે નવીન ટેકનોલોજીનો સમન્વય કરી નાવીન્યસભર વિચારો અને ઉભરતા સાહસો દર્શાવવામાં આવશે. આ પેવેલિયનમાં નામાંકિત એવી CEPT યુનિવર્સિટી – અમદાવાદ, DAIICT – ગાંધીનગર, IIT ગાંધીનગર, ગતિ શક્તિ યુનિવર્સિટી, GTU, અમદાવાદ નવીનતમ વિષયો પર નેટવર્કિંગ, માર્ગદર્શકતા અને જ્ઞાન વહેંચણી સેમિનાર માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.

મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત-

આ પેવેલિયન ઉત્પાદન ઉત્કૃષ્ટતામાં રાજ્યની સંસ્થાકીય અને ઔદ્યોગિક કૌશલ્યને પ્રકાશિત કરશે. મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રાજ્યની ભૂમિકા પર પ્રકાશ પાડતા ગુજરાત સ્થિત ઉદ્યોગોના ઉત્પાદનો, નવીનતાઓ અને પ્રગતિઓની વિવિધ શ્રેણી આ પ્રદર્શન મારફતે ઉજાગર કરશે.

આત્મનિર્ભર ભારત-

આ પેવેલિયન વડાપ્રધાનશ્રીના વિઝનને પ્રદર્શિત કરે છે. શ્રી નરેન્દ્ર મોદી ભારતની આત્મનિર્ભરતા પહેલો અને વિવિધ ઉદ્યોગોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આ ડોમ આત્મનિર્ભર ભારતને વધુ ગતિશીલ બનાવશે. જેમાં અદાણી, ટોરેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વગેરે જેવા ઔદ્યોગિક જૂથો ભાગ લઈ

 રહ્યા છે.

ટકાઉપણું અને આબોહવા પરિવર્તન પેવેલિયન-

પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવા-સકારાત્મક પહેલ પરના આ પેવેલિયનમાં પરિવહન માટે હાઇડ્રોજન ઇંધણના ફાયદા દર્શાવવામાં આવ્યા છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન, હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશનના મોડલનું પ્રદર્શન જાહેર જનતા નિહાળી શકશે.

હાઇડ્રોજન ઇંધણ અને ઇલેક્ટ્રિકલ વાહનો:-

આ પ્રદર્શનમાં ઈલેક્ટ્રિક વાહન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતા ડિસ્પ્લે છે. વિવિધ EV મોડલ્સનું તુલનાત્મક વિશ્લેષણ અને તેમની પર્યાવરણીય અસર દર્શાવતા આ ડોમમાં  મુલાકાતીઓ પરિવહન માટે હાઇડ્રોજન ઇંધણના ફાયદાઓ જાણી શકે છે.

સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

હાઇ-સ્પીડ રેલ અને બુલેટ ટ્રેન ટેક્નોલોજીના વિકાસ અને ફાયદાઓ દર્શાવતા હાઇ-ટેક ડિસ્પ્લે સહિત

ઇન્ટરેક્ટિવ મોડલ્સનું પ્રદર્શન અને નવા યુગનું સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન પેવેલિયનની મુખ્ય વિશેષતા છે.

વ્યૂહાત્મક નેટવર્કિંગ તકો:-

પ્લેટફોર્મનો લાભ લેતા, પ્રદર્શકો માટે તકો વધારવા માટે રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

રિવર્સ બાયર સેલર મીટ-RBSM નિકાસ પ્રમોશન ઓરિએન્ટેડ પહેલ:-

તા.૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ માટે સુનિશ્ચિત  આ મીટ વિવિધ શ્રેણીઓમાંથી ૧૦૦ થી વધુ દેશોના વિદેશી ખરીદદારોને આકર્ષે છે જે વિવિધ શ્રેણીઓમાં સપ્લાયર્સની શોધ કરશે. જેમાં ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ, સિરામિક્સ અને ટાઇલ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ અને સંલગ્ન ક્ષેત્ર, કાપડ અને વસ્ત્રો, ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
Next articleબિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકાર્પણ