Home ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સમાં તજજ્ઞોના અનુભવો-...

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સમાં તજજ્ઞોના અનુભવો- નોલેજનું વિચાર મંથન : શિક્ષણના નવા આયામો તેમજ વિવિધ વિષયો પર સંગોષ્ઠિ અને પ્રશ્નોત્તરી યોજાઈ

17
0

(G.N.S) dt. 26

રાજપીપલા,

પેનલ ડિસ્કશન, સંવાદમાં વાઈસ ચાન્સેલર્સ અને NEP કો-ઓર્ડિનેટર્સએ નવી શિક્ષણનીતિ અંગે વિચારો રજૂ કર્યા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ થકી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તનનો માર્ગ મોકળો બન્યો છે : રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

    

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ અને NEP કો-ઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિવિધ વિષયો પર પશ્ચિમ ઝોનના વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંપૂર્ણપણે લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવા માટેનું સામૂહિક વિચાર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષય પર સંગોષ્ઠિ યોજાઈ હતી. પ્રથમ સેશનમાં AICTE ના ચેરમેન પ્રો. ડૉ. ટી.જી. સીતારમનની અધ્યક્ષતામાં પેનલ ડિસ્કશન સહિત સંવાદ યોજવામાં આવ્યો હતો. નિષ્ણાત વક્તાઓએ ચાવીરૂપ પ્રવચનો આપી NEP-2020 અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા, અને ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા પ્રશ્નોત્તરી- ઈન્ટરેકશન કરવામાં આવ્યું હતું. પ્રોબ્લેમ અને સોલ્યુશન અંગે નિષ્ણાતો દ્વારા સુઝાવો અપાયા હતા.

             પ્રથમ સત્રમાં 'એક્સેસ ટુ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ ગર્વનન્સ - હાયર એજ્યુકેશન અને ઈકવીટેબલ એન્ડ ઇન્કલુઝીવ એજ્યુકેશન - ઈસ્યૂસ ઓફ સોશિયો - ઈકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ નક્કી કરવામાં આવ્યા હતા. આ સેશનમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તા, IIM- રાયપુરના ડાયરેક્ટર ડૉ. રામ કુમાર કાકાની, સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી આંધ્રપ્રદેશના વાઇસ ચાન્સેલર પ્રો. ટી. વી. કટ્ટિમની અને ડૉ. કલામ ફાઉન્ડેશનના સ્થાપકશ્રી શ્રીજન પાલ સિંઘે પેનલિસ્ટ તરીકે ભૂમિકા ભજવી હતી.     

      આ સંગોષ્ઠિ દરમ્યાન વિષયને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરતા ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ આઝાદીના અમૃત અવસરનો નવયુગ જ્ઞાનનો યુગ છે. જેને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણનું યુવાનોમાં સિંચન કરવામાં શિક્ષણવિદોએ ખુબજ મહત્વની જવાબદારી અદા કરવાની રહે છે. હાયર એજયુકેશન ઇન્સ્ટિટ્યૂટની નાણાકીય, કાયદાકીય અને કરિક્યુલર સ્વાયત્તતા થકી ભારતનું શ્રેષ્ઠ ભવિષ્ય જોઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. 

      છેવાડાના માનવીનો હાયર એજ્યુકેશનમાં સમાવેશ તથા શિક્ષણની ગુણવત્તા થકી વિદ્યાર્થીઓ એન્ટરપ્રેન્યોર, જોબ આપનાર તથા બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરી શકાય તે અંગે ડૉ. રામકુમાર કાકાનીએ રસપ્રદ વિચારો રજૂ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માર્કેટ સ્કીલ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી શકે તેવા હોવા જોઈએ.

                  પ્રો. ટી. વી. કટ્ટિમની દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસમાં શિક્ષણનું મહત્વ તથા આદિજાતિ સમુદાયના મુખ્ય પડકારો અને સમસ્યા વિશે વિચારો પ્રસ્તુત કર્યા હતા. શ્રીજન પાલ સિંઘે વર્ચ્યુઅલ રિયાલીટીને શિક્ષણ જગતનું આગવું ભવિષ્ય ગણાવ્યું હતું. આ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટુલની મદદથી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો આ બેઠક માટેનો શુભેચ્છા પાઠવતો વિડીયો સંદેશ પણ પ્રસ્તુત કરાયો હતો.      

           આ ઉપરાંત, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે પણ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ અને ભારતીય જ્ઞાન પરંપરા વિષયને કેન્દ્રમાં રાખીને દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના સુયોગ્ય અમલીકરણ માટે પોતાના મનનીય વિચારો પ્રસ્તુત કર્યા હતા. સાથે આઈઆઈટી-ગયાના પ્રો. વિનિતા સહાયે એકતાનગર ખાતેની આગતા સ્વાગતા અને સ્વાગત સત્કાર માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ તેમજ આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.         

            અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દિવસ દરમિયાન અનેકવિધ થીમ આધારિત ચર્ચાઓમાં મહાનુભાવો, શિક્ષણવિદો, તજજ્ઞો દ્વારા નવી શિક્ષણ નીતિને અપગ્રેડ કરવા માટે પોતાના અનુભવો, મંતવ્યોના આદાન-પ્રદાન થકી સામુહિક મનોમંથન કરવામાં આવ્યું હતું. જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ કોન્ફરન્સના સંદર્ભમાં બનાવેલા ન્યૂઝ લેટર “ઈતિવ્રિત્ત”ને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.  

              વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના સમાપન કાર્યક્રમ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને એમ.એસ.યુનિવર્સિટીએ આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, હું અહીં સુઝાવ માટે નહીં પણ શીખવા માટે આવ્યો છું. નવું જ્ઞાન શીખવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને અમૃત સમાન ગણવામાં આવ્યું છે. ગુરુ શિષ્યની પરંપરા અને વિદ્યા એ માણસને સંસ્કારવાન - ચરિત્રવાન બનાવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ બનાવીને આગવું કદમ ઉઠાવ્યું છે. જે તેમના વિઝનરી વિચારોનું ઉત્તમ દ્રષ્ટાંત છે. તેના થકી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તનનો માર્ગ મોકળો બન્યો છે. જેમાં કૌશલ્યવર્ધન સાથે રસ રૂચીને અનુરૂપ વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ પસંદ કરી શકે છે. જેના અમલવારીમાં આ નવી શિક્ષણ નીતિ ઉપકારક સાબિત થશે. યુવાનોમાં પડેલી શક્તિને ખીલવવામાં અને જીવન જીવવાની કળા શીખવશે. આ શિક્ષણ પ્રણાલી ગુજરાતમાં અમલી થઈ છે. તેની અમલવારી ભારતભરની યુનિવર્સિટીઓમાં થાય તે દિશામાં આપણે પ્રયાસ માટે આ કોન્ફરન્સ યોજી છે જે ઉપયોગી બનશે. સરદાર સાહેબના સાનિધ્યમાં કરેલું ચિંતન-મંથન ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે તેવો મને પુરો વિશ્વાસ છે.

             આ પ્રસંગે ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેનશ્રી એમ.જગદેશ કુમાર, ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશ કુમાર, કમિશ્નરશ્રી ટેક્નિકલ શિક્ષણના શ્રી બંછાનિધી પાની, ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી પી.બી.પંડ્યા, ઉચ્ચ શિક્ષણ વિભાગનાશ્રી જોઈન્ટ કમિશનરશ્રી નારાયણ માધુ, કે.સી.જી.ના એડવાઈઝરશ્રી પ્રો.એ.યુ.પટેલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરાના કુલપતિશ્રી પ્રો. ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ અને રજીસ્ટ્રારશ્રી ડો.કે.એમ.ચૂડાસમા સહિત વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રી, રજીસ્ટ્રારશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

            ત્યારબાદ કોન્ફરન્સમાં પધારેલા તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. પ્રદર્શની, વ્યુઈંગ ગેલેરી અને નર્મદા મૈયા અને સરદાર સરોવર ડેમ અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નજરે નિહાળ્યો હતો. આ ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરી યાદગાર બનાવી હતી. બાદમાં લેસર શો દ્વારા સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી નિહાળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈના બાંદ્રામાં પ્રીતિ ઝિંટાએ ખરીદ્યો કરોડોનો આલીશાન ફ્લેટ
Next articleદૈનિક રાશિફળ (તા.૨૮-૧૦-૨૦૨૩)