(જી.એન.એસ),તા.૩૧
અમદાવાદ
આજે 2023 ના વર્ષનો અંતિમ દિવસ છે. 2023 નું વર્ષ બસ થોડા જ કલાકનું મહેમાન છે, અને 2024 નુ વર્ષ થોડા જ કલાકમાં એન્ટ્રી કરશે. આવામાં PM મોદીએ આજે વર્ષ 2023ના છેલ્લા દિવસે મન કી બાતમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે, 2023માં ભારતે અનેક વિશેષ ઉપલબ્ધિઓ મેળવી. નવી ઉર્જા સાથે હવે આપણે આગળ વધવાનું છે. આ સાથે જ PM મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના આપી. ત્યારે મન કી બાતમાં PMએ ગુજરાતના ડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ડાયરામાં આવેલા દાનનો એક રૂપિયો તેમણે પોતાની પાસે નથી રાખ્યો. વર્ષ 2017માં 50 વર્ષના થયા બાદ તેમણે આવક દાન કરી. મન કી બાતમાં પીએમ મોદીએ ગુજરાતના કલાકારનો ઉલ્લેખ કર્યો તેમજ તેમની કામગીરીને બિરદાવી હતી.
લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદીના PM એ વખાણ કર્યા હતા. જગદીશ ત્રિવેદીએ સેવાનું સરવૈયું નામથી પુસ્તક લખ્યું છે. જેમાં ડાયરાથી થયેલી કમાણી અને તેના ખર્ચનો જગદીશ ત્રિવેદીએ હિસાબ આપ્યો છે. 2017 માં 50 વર્ષના થયા બાદ જગદીશ ત્રિવેદી ડાયરાની કમાણી માત્ર સામાજિક કાર્યો માટે વાપરે છે. જગદીશ ત્રિવેદીના સંકલ્પ અને કાર્યની પ્રધાનમંત્રીએ ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જગદીશ ત્રિવેદીના ડાયરા લોકોને ખૂબ જ પસંદ આવે છે. 3 Ph.D.ની ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ 75 પુસ્તકો લખ્યાં છે. અત્યાર સુધીમાં પોણા 9 કરોડથી વધુ રૂપિયા જગદીશ ત્રિવેદીએ દાનમાં આપ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે આ વર્ષે આપણા ખેલાડીઓએ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમારા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 107 મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા છે. તો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા. PM મોદીએ કહ્યું કે ભારતનું ‘ઈનોવેશન હબ’ બનવું એ દર્શાવે છે કે આપણે અટકવાના નથી. 2015માં આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81મા ક્રમે હતા. જો કે આજે આપણે 40મા ક્રમે છીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.