Home ગુજરાત ગાંધીનગર મતદાન સ્ટાફ – ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ- શ્રીમતી પી. ભારતી, મુખ્ય નિર્વાચન...

મતદાન સ્ટાફ – ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ- શ્રીમતી પી. ભારતી, મુખ્ય નિર્વાચન અધિકારી

17
0

(G.N.S) Dt. 27

લોકશાહીનું આ ભવ્ય પર્વ, જયાં લાખો નાગરીકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે, જે આ લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહયો હોય છે. આ કર્મનિષ્ઠ વ્યકિતઓના સમૂહને ચૂંટણીની ભાષામાં “પોલીંગ સ્ટાફ” કહેવાય છે. જેઓ આપણી ચૂંટણી પ્રકિયાની કરોડરજજુ છે તેમની પ્રતિબધ્ધતા, સમર્પણ અને સખત મહેનત; એ સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ, મુકત અને પારદર્શક રીતે યોજાય. ચૂંટણી પ્રક્રિયા એટલે મહાશ્રમ યજ્ઞ. કુનેહપૂર્વકની અને નિયમાનુસારની તથા ઘડીયાળના કાંટે ચાલતી પ્રક્રિયા. જે મતદાનના આગળના દિવસે વહેલી સવારે શરૂ થઇને મતદાનના દિવસે મોડેથી પૂર્ણ થાય છે.

ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રી કે જેમાં ટાંકણીથી લઇને VVPAT નો સમાવેશ થાય છે. પોલીંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેચીંગ સેન્ટર પરથી લઇને તેને જીવથી વધુ સાચવીને મતદાન મથકે લઇ જાય છે. મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરે છે.

ગુજરાતમાં મતદાનના દિવસે આવા લગભગ ૪.૦ લાખ સૈનિકો વહેલી સવારે તૈયાર થઇને ઉમેદવારોના મતદાન એજન્ટ એવા આગંતુકોની રાહ જુએ અને પછી તેઓની હાજરીમાં મોકપોલ કરીને મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર ઘોષિત કરે ત્યારે અડધો હાશકારો અનુભવાય. એમાંય જ્યારે પહેલો મત પડે અને ૧૭-ક માં નોંધણી થઇને CU માંથી બીપનો અવાજ આવે એટલે પૂર્ણ હાશકારો અને પછી આખો દિવસ મતદારોને આવકારે છે, સમજણ આપે છે અને જો કોઇ મતદાર કોઇપણ મૂંઝવણ અનુભવે તો તેને શાંતિથી નિયમાનુસાર સમજણ આપે છે.

મતદાન પુરુ થયા પછી બધા જ પત્રકો તેના કવરમાં મૂકાય તેની ખાત્રી કરે છે અને પછી રીસીવીંગ સેન્ટરે પહોંચીને જીવની જેમ સાચવેલુ EVM અને બાકીની બધી ચૂંટણી સામગ્રી જમા કરાવે છે અને જયારે “ચૂંટણી ફરજ મુકિતનું પ્રમાણપત્ર” મળે ત્યારે તે ચૂંટણી કામગીરી પૂરી કર્યાનો ગર્વ અનુભવે છે.

મતદાન સ્ટાફ મતદાન મથક તૈયાર કરવાથી લઇને મતદાન પછીની પ્રક્રિયાઓ દરમિયાન લાંબા કલાકો સુધી કામ કરે છે; તેમનું શરીર કદાચ થાકતું હશે પણ તેમનું સમર્પણ અતૂટ હોય છે. આખા દેશની નજર તેમના પર હોય છે. કોઇપણ ભૂલ વિવાદ ઉભો કરી શકે છે, તેમ છતાં તેઓ નિષ્પક્ષતા સાથે આગળ વધતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીંગ સ્ટાફ પૈકીના ઘણા કર્મચારીઓ ડાયાબીટીસ,બી.પી. અને થાઇરોઇડ જેવી આરોગ્ય વિષયક સમસ્યાઓ ધરાવતા હોવા છતાં અને નિત્ય દૈનિક ક્રિયાઓની અગવડતા ભોગવીને પણ સતત ૩૬ કલાક સુધી મતદાન મથકે ચૂંટણી ફરજ નિભાવતા હોય છે. આમ, ચૂંટણી પંચના આ પાયાના સૈનિકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે.

મતદાન સ્ટાફ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે DEO મતદાન સ્ટાફ માટે સઘન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. તેઓ ચૂંટણીના કાયદા, ટેકનોલોજી અને નૈતિક આચરણ વિશે માહિતગાર થાય છે. આનાથી તેઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવાની શકિત અને સમજ મળે છે.

ECI મતદાન કર્મચારીઓના સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકે છે. મતદાન મથકો પર તબીબી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓની કેશલેસ સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ પહેલ કરવામાં આવી છે. મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પર હોય ત્યારે અકસ્માત અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે વીમા કવચ પૂરૂ પાડવામાં આવે છે. મતદાનના દિવસે વ્યસ્તતામાં કદાચ તેઓને બિરદાવવાના રહી જાય છે પરંતુ સમગ્ર ચૂંટણી શાંત અને મુક્ત વાતાવરણમાં યોજાય છે ત્યારે ઘણાં લોકો ભૂલી જતા હશે કે મતદાનના દિવસે મતદાન મથકના તે મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે.

મતદાન કર્મચારીઓને હું કહેવા માંગું છું કે, “તમે એવા આઇકન છો કે, જેઓ સુનિશ્ચિત કરે છે કે, લોકશાહીના ધબકારા ધબકતા રહે. તમારા સમર્પિત યોગદાનથી જ ભારતની ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક બને છે. પત્રકો ભરવામાં કદાચ આંકડાકીય ભૂલ થઇ શકે પણ અમને ખાત્રી છે કે નિયમની ચૂક તમે કયારેય નહિં કરો. તમારી મહેનત, પ્રામાણિકતા અને બલિદાન મહત્વપૂર્ણ છે. લોકશાહીની આ જ્યોત જલતી રાખો.”

આપણી લોકશાહીના મૂક શિલ્પકાર એવા મતદાન સ્ટાફને સલામ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૮-૦૪-૨૦૨૪)
Next articleગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શેરી, મહોલ્લા, ગ્રામ પંચાયત અને ડેરી ખાતે નાગરિકોને અવશ્ય મતદાન કરશે ના શપથ લેવડાવવામાં આવ્યા