Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રીએ RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું

76
0

આરબીઆઈના 90 વર્ષ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો

“આરબીઆઈ આપણાં દેશનાં વિકાસનાં માર્ગને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે”

“આરબીઆઈએ આઝાદી પહેલાના અને પછીના બંને યુગના સાક્ષી બન્યા છે અને તેની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાના આધારે વિશ્વભરમાં એક ઓળખ ઉભી કરી છે”

“આજે આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ, જ્યાં ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વિશ્વની મજબૂત અને સ્થાયી બેંકિંગ વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે”

“સરકારે માન્યતા, ઠરાવ અને પુનઃમૂડીકરણની વ્યૂહરચના પર કામ કર્યું છે”

“સક્રિય ભાવ નિરીક્ષણ અને રાજકોષીય એકત્રીકરણ જેવા પગલાઓએ કોરોનાના મુશ્કેલ સમયમાં પણ ફુગાવાને મધ્યમ સ્તરે રાખ્યો હતો”

“આજે ભારત વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં 15 ટકા હિસ્સા સાથે વૈશ્વિક વિકાસનું એન્જિન બની રહ્યું છે”

“આરબીઆઈ વિકસિત ભારતનાં બેંકિંગ વિઝનની સંપૂર્ણ પ્રશંસા માટે યોગ્ય સંસ્થા છે”

(જી.એન.એસ),તા.૦૧

નવીદિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનાં 90 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ આરબીઆઈના 90મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 1935માં 1લી એપ્રિલથી તેની કામગીરી શરૂ કરી હતી અને આજે 90માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે અસ્તિત્વનાં 90 વર્ષ પૂર્ણ કરીને ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરબીઆઈએ આઝાદી અગાઉનાં અને આઝાદી પછીનાં એમ બંને યુગો જોયા છે તથા તેણે પોતાની વ્યાવસાયિકતા અને કટિબદ્ધતાનાં આધારે સમગ્ર વિશ્વમાં એક ઓળખ ઊભી કરી છે. પ્રધાનમંત્રીએ આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થવા પર તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આરબીઆઈના વર્તમાન સ્ટાફને નસીબદાર ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે તૈયાર કરવામાં આવેલી નીતિઓ આરબીઆઈના આગામી દાયકાને આકાર આપશે અને તેમણે વધુમાં કહ્યું કે, આગામી 10 વર્ષ આરબીઆઈને તેના શતાબ્દી વર્ષ સુધી લઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આગામી દાયકો વિકસિત ભારતના સંકલ્પો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.” તેમણે ઝડપી વૃદ્ધિ અને વિશ્વાસ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આરબીઆઈની પ્રાથમિકતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ તેનાં લક્ષ્યાંકો અને ઠરાવો પૂર્ણ કરવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

દેશની જીડીપી અને અર્થવ્યવસ્થામાં નાણાકીય અને રાજકોષીય નીતિઓના સમન્વયના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં આરબીઆઈની 80મી વર્ષગાંઠની ઉજવણીને યાદ કરી હતી તથા તે સમયે દેશની બેંકિંગ વ્યવસ્થામાં એનપીએ અને સ્થિરતા જેવા પડકારો અને સમસ્યાઓને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ત્યાંથી શરૂ કરીને આજે આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે, જ્યાં ભારતીય બેંકિંગ પ્રણાલીને વિશ્વની એક મજબૂત અને ટકાઉ બેંકિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તે સમયની નજીકની મૃતપ્રાય બેંકિંગ સિસ્ટમ હવે નફામાં છે અને રેકોર્ડ ક્રેડિટ બતાવી રહી છે.

પ્રધાનમંત્રીએ આ પરિવર્તન માટે નીતિ, ઇરાદાઓ અને નિર્ણયોની સ્પષ્ટતાનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યાં ઇરાદાઓ યોગ્ય છે, ત્યાં પરિણામો પણ સાચા જ હોય છે.” સુધારાઓના વ્યાપક સ્વરૂપ પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે માન્યતા, ઠરાવ અને પુનઃમૂડીકરણની વ્યૂહરચના પર કામ કર્યું છે. શાસન સંબંધિત ઘણા સુધારાઓની સાથે જાહેર ક્ષેત્રની બેંકોને મદદ કરવા માટે 3.5 લાખ કરોડની મૂડી ઉમેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ફક્ત ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સીથી રૂ. 3.25 લાખ સુધીની લોનનું સમાધાન થયું છે. તેમણે દેશને એવી પણ માહિતી આપી હતી કે આઇબીસી હેઠળ પ્રવેશ પહેલાં જ રૂ.9 લાખ કરોડથી વધુના મૂળભૂત ડિફોલ્ટ્સ ધરાવતી 27,000થી વધુ અરજીઓનો ઉકેલ આવી ગયો હતો. 2018માં બેંકોની ગ્રોસ એનપીએ જે 11.25 ટકા હતી તે સપ્ટેમ્બર 2023 સુધીમાં ઘટીને 3 ટકાથી નીચે આવી ગઈ છે. તેમણે કહ્યું કે ટ્વીન બેલેન્સશીટની સમસ્યા ભૂતકાળની સમસ્યા છે. પીએમ મોદીએ આ પરિવર્તનમાં આરબીઆઈના યોગદાન બદલ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે આરબીઆઈ સાથે સંબંધિત ચર્ચાઓ ઘણીવાર નાણાકીય વ્યાખ્યાઓ અને જટિલ પરિભાષાઓ સુધી મર્યાદિત હોવા છતાં, આરબીઆઈમાં હાથ ધરવામાં આવેલું કાર્ય સામાન્ય નાગરિકોના જીવન પર સીધી અસર કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં સરકારે કેન્દ્રીય બેંકો, બેંકિંગ વ્યવસ્થાઓ અને લાભાર્થીઓ વચ્ચેનાં જોડાણ પર પ્રકાશ પાડ્યો છે તથા ગરીબોનાં નાણાકીય સર્વસમાવેશકતાનું ઉદાહરણ આપ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, દેશમાં 52 કરોડ જન ધન ખાતાઓમાંથી 55 ટકા ખાતાઓ મહિલાઓનાં છે. તેમણે કૃષિ અને મત્સ્યપાલન ક્ષેત્રમાં નાણાકીય સર્વસમાવેશકતાની અસરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં 7 કરોડથી વધારે ખેડૂતો, માછીમારો અને પશુપાલકોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ સુલભ કરાવવામાં આવ્યાં છે, જે ગ્રામીણ અર્થતંત્રને નોંધપાત્ર વેગ પ્રદાન કરે છે. છેલ્લાં 10 વર્ષમાં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ સહકારી બેંકોનાં સંબંધમાં ભારતીય રિઝર્વ બેંકનાં નિયમોનાં મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુપીઆઈ મારફતે માસિક 1200 કરોડથી વધુના વ્યવહારોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે તેને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ બનાવે છે. પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર થઈ રહેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં થયેલા પરિવર્તનને કારણે નવી બેંકિંગ વ્યવસ્થા, અર્થતંત્ર અને મુદ્રા અનુભવના નિર્માણને સક્ષમ બનાવે છે.

પ્રધાનમંત્રીએ આગામી 10 વર્ષનાં લક્ષ્યાંકો માટે સ્પષ્ટતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપતી વખતે કેશલેસ અર્થવ્યવસ્થા દ્વારા લાવવામાં આવેલા ફેરફારો પર નજર રાખવાના મહત્વ તરફ ધ્યાન દોર્યું. તેમણે નાણાકીય સર્વસમાવેશકતા અને સશક્તિકરણની પ્રક્રિયાઓને ગાઢ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ભારત જેવા મોટા દેશની વિવિધ બેંકિંગ જરૂરિયાતો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ‘ઇઝ ઓફ ડુઇંગ બેંકિંગ’માં સુધારો કરવાની અને નાગરિકોની જરૂરિયાતો અનુસાર સેવાઓ પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે દેશના ઝડપી અને ટકાઉ વિકાસમાં આરબીઆઈની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. બેંકિંગ ક્ષેત્રમાં નિયમ-આધારિત શિસ્ત અને રાજકોષીય રીતે સમજદાર નીતિઓ લાવવામાં આરબીઆઈની સિદ્ધિની નોંધ લઈને પ્રધાનમંત્રીએ બેંકોને સરકારના સમર્થનની ખાતરી આપવાની સાથે-સાથે સક્રિય પગલાં લેવા માટે વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોનો આગોતરો અંદાજ લગાવવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ફુગાવાને નિયંત્રણમાં રાખવાનાં પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કે આરબીઆઈને લક્ષ્યાંક બનાવવાનો અધિકાર આપવો અને આ સંબંધમાં નાણાકીય નીતિ સમિતિની કામગીરીની પ્રશંસા કરી હતી. કોરોનાના કપરા કાળમાં પણ સક્રિય ભાવ નિરીક્ષણ અને રાજકોષીય મજબૂતી જેવા પગલાંએ ફુગાવાને મધ્યમ સ્તરે રાખ્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જો કોઈ દેશની પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય, તો કોઈ પણ દેશને પ્રગતિ કરતા અટકાવી શકે નહીં.” તેમણે ઉદાહરણ આપ્યું કે સરકારે કોવિડ મહામારી દરમિયાન નાણાકીય સમજદારી અને સામાન્ય નાગરિકોના જીવનને પ્રાધાન્ય આપવા પર ધ્યાન આપ્યું અને સામાન્ય લોકોના જીવનને પ્રાથમિકતા આપી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીઓમાંથી બહાર આવ્યા અને આજે દેશના વિકાસને વેગ આપી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતીય અર્થતંત્ર એવા સમયે નવા વિક્રમોનું સર્જન કરી રહ્યું છે, જ્યારે દુનિયામાં ઘણાં દેશો હજુ પણ આ રોગચાળાના આર્થિક આઘાતમાંથી બહાર આવવા પ્રયાસરત છે.” તેમણે ભારતની સફળતાઓને વૈશ્વિક સ્તરે લઈ જવામાં આરબીઆઈની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કોઈપણ વિકાસશીલ દેશ માટે ફુગાવા નિયંત્રણ અને વૃદ્ધિ વચ્ચે સંતુલન બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડતા, પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આરબીઆઈ આ માટે એક મોડેલ બની શકે છે અને વિશ્વમાં નેતૃત્વની ભૂમિકા ભજવી શકે છે, જેથી સમગ્ર વૈશ્વિક દક્ષિણ ક્ષેત્રને ટેકો મળી શકે છે.

અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે, પ્રધાનમંત્રીએ આરબીઆઈને યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશમાં નવા ક્ષેત્રો ખોલવા માટે સરકારની નીતિઓને શ્રેય આપ્યો, જેથી આજના યુવાનો માટે અસંખ્ય તકો ઉભી થઈ છે. તેમણે ગ્રીન એનર્જી ક્ષેત્રોના વિસ્તરણનું ઉદાહરણ આપ્યું અને સૌર ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ઇથેનોલ મિશ્રણનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્વદેશી બનાવટની 5જી તકનીક અને સંરક્ષણ ક્ષેત્રમાં વધતી નિકાસ પર પણ વાત કરી. એમએસએમઇ ભારતના ઉત્પાદન ક્ષેત્રની કરોડરજ્જુ બનવા વિશે બોલતા, પ્રધાનમંત્રીએ એમએસએમઇને ટેકો આપવા માટે કોવિડ રોગચાળા દરમિયાન ક્રેડિટ ગેરંટી યોજનાના અમલીકરણ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરબીઆઈ નવા ક્ષેત્રો સાથે સંકળાયેલા યુવાનો માટે ધિરાણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આઉટ ઓફ ધ બોક્સ નીતિઓ લાવવા પર ભાર આપ્યું.

21મી સદીમાં નવીનતાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ટીમોની સાથે અત્યાધુનિક ટેકનોલોજીઓ અને આ કાર્ય માટે કર્મચારીઓની ઓળખ સાથે સંબંધિત દરખાસ્તો માટે તૈયાર રહેવા જણાવ્યું. તેમણે બેન્કર્સ અને નિયમનકારોને અવકાશ અને પર્યટન જેવા નવા અને પરંપરાગત ક્ષેત્રોની જરૂરિયાતો માટે તૈયાર રહેવા જણાવ્યું. તેમણે નિષ્ણાતના અભિપ્રાયનો ઉલ્લેખ કર્યો કે, આગામી વર્ષોમાં અયોધ્યા દુનિયાનું સૌથી મોટું ધાર્મિક પ્રવાસન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નાણાકીય સર્વસમાવેશકતા અને ડિજિટલ ચુકવણી માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો શ્રેય આપ્યો, જેણે નાના ઉદ્યોગો અને શેરી વિક્રેતાઓની નાણાકીય ક્ષમતામાં પારદર્શકતા ઊભી કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, “આ માહિતીનો ઉપયોગ તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે થવો જોઈએ.”

પીએમ મોદીએ આગામી 10 વર્ષમાં ભારતની આર્થિક આત્મનિર્ભરતા વધારવા પર પણ ભાર મૂક્યો જેથી વૈશ્વિક મુદ્દાઓની અસર ઓછી થાય. શ્રી મોદીએ જણાવ્યું કે, “હાલ ભારત વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં 15 ટકા હિસ્સા સાથે વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બની રહ્યું છે.” તેમણે સમગ્ર વિશ્વમાં રૂપિયો વધારે સુલભ અને સ્વીકાર્ય બનાવવાનાં પ્રયાસો પર ભાર મૂક્યો. તેમણે અતિશય આર્થિક વિસ્તરણ અને વધતા જતા દેવાના વધતા વલણો પર પણ વાત કરી અને ધ્યાન દોર્યું કે ઘણા દેશોના ખાનગી ક્ષેત્રના દેવાએ તેમનો જીડીપી બમણો કર્યો છે. તેમણે કહ્યું કે, ઘણા દેશોના દેવાના સ્તર પણ દુનિયા પર નકારાત્મક અસર પેદા કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, આરબીઆઈ ભારતની વૃદ્ધિની સંભવિતતા અને સંભાવનાને ધ્યાનમાં રાખીને આ અંગે અભ્યાસ હાથ ધરે.

પીએમ મોદીએ દેશના પ્રોજેક્ટ્સને જરૂરી ભંડોળ પૂરું પાડવા માટે એક મજબૂત બેંકિંગ ઉદ્યોગના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે એઆઈ અને બ્લોકચેન જેવી તકનીકીઓ દ્વારા લાવવામાં આવેલા ફેરફારોની નોંધ લીધી અને વધતી ડિજિટલ બેંકિંગ સિસ્ટમમાં સાયબર સુરક્ષાના મહત્વની નોંધ લીધી. તેમણે શ્રોતાઓને ફિન-ટેક ઇનોવેશનના પ્રકાશમાં બેન્કિંગ સિસ્ટમના માળખામાં જરૂરી ફેરફારો વિશે વિચારવા જણાવ્યું હતું, કારણ કે નવા ફાઇનાન્સિંગ, ઓપરેટિંગ અને બિઝનેસ મોડલની જરૂર પડશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું કે, “વૈશ્વિક ચેમ્પિયન્સથી લઈને લારી-ગલ્લાવાળાઓ, અત્યાધુનિક ક્ષેત્રોથી માંડીને પરંપરાગત ક્ષેત્રોની ધિરાણની જરૂરિયાતો પૂર્ણ કરવી એ વિકસિત ભારત માટે મહત્ત્વપૂર્ણ છે અને વિકસિત ભારતનાં બેંકિંગ વિઝનની સંપૂર્ણ પ્રશંસા કરવા માટે આરબીઆઈ એક યોગ્ય સંસ્થા છે.”

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી રમેશ બૈંસ, મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન શ્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાનો શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રી શ્રી ભાગવત કિશનરાવ કરાડ અને શ્રી પંકજ ચૌધરી તથા આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અયોધ્યામાં રામ મંદિરની ભવ્યતા, સુંદરતા અને દિવ્યતાના દર્શન કરીને ભાવવિભોર
Next articleમુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ડોક ફિલ્મ બજાર સબમિશનની ડેડલાઈન 10 એપ્રિલ સુધી લંબાવાઈ