Home દેશ - NATIONAL ગુજરાતમાં ‘તલાટી કમ મંત્રી‘ની ૩૪૩૭ ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.૭ મે,...

ગુજરાતમાં ‘તલાટી કમ મંત્રી‘ની ૩૪૩૭ ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.૭ મે, ૨૦૨૩ના રોજ ભરતી પરીક્ષાનું આયોજન: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

49
0

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૭મી મે, ૨૦૨૩ના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.

મંત્રીએ તમામ ઉમેદવારોને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Previous articleકેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ સમગ્ર દેશમાં ૧૦૦ સ્વસ્થ અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ્‌સ વિકસાવવા માટે ‘ફૂડ સ્ટ્રીટ પ્રોજેક્ટ’ની સમીક્ષા કરી
Next articleRTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે