Home દેશ - NATIONAL પ્રધાનમંત્રી મોદી, સરદારને તો નહેરુ નડતા હતા, આપને કોણ નડે છે…?

પ્રધાનમંત્રી મોદી, સરદારને તો નહેરુ નડતા હતા, આપને કોણ નડે છે…?

1200
0

(જી.એન.એસ., ધીમંત પુરોહિત) તા.20
૧૯૯૦માં બીજેપીની દરેક સભાઓમાં એક નારો હંમેશા ગૂંજતો – “ દૂધ માંગોગે તો ખીર દેંગે – કાશ્મીર માંગા તો ચીર દેંગે “. એ વખતે દિલ્હી તો દૂર, રાજ્યોમાં પણ ક્યાય બીજેપીની સરકાર નહોતી. ત્યારે બીજેપીનો આ મૂડ હતો. આજે જ્યારે કેન્દ્રમાં ફૂલ મેજોરિટી સાથે બીજેપીની મોદી સરકાર છે, દેશના ૨૯માથી ૨૧ રાજ્યોમાં બીજેપીની પોતાની અથવા સહયોગીઓ સાથેની સરકારો છે અને હજી હમણા સુધી કાશ્મીરમાં પણ એની સંયુક્ત સરકાર હતી. અને રોજે રોજ માં ભારતીના મસ્તિષ્ક – કાશ્મીર – માં ચીરે ચીરા પડે છે ત્યારે “ચીર દેંગે” વાળા બોલ બચ્ચનો એમની એસી ઓફિસોની બહાર પણ ડોકાતા નથી.
કાશ્મીરની કરુણ કથાનાં છેલ્લા અધ્યાયની જાહેરાત મંગળવારે બપોરે, આરએસએસમાંથી બીજેપીમાં આવીને કાશ્મીર અને પૂર્વોત્તરના પ્રભારી બનેલા રામ માધવે કરી કે – બીજેપી પીડીપી સરકારને આપેલો ટેકો દેશહિતમાં પાછો ખેંચે છે, કારણકે મહેબૂબા મુફ્તી સરકાર આતંકવાદ અને રેડીકલાઈઝેશન રોકવામાં નિષ્ફળ ગઈ અને કાશ્મીર ઘાટીની સરખામણીએ જમ્મુ અને લદાખની પ્રજાએ વિકાસમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો. બંને આરોપો ગંભીર છે, જો કે, સંયુક્ત સરકારમાં એને માટે પીડીપી જેટલી જ જવાબદારી બીજેપીની પણ બને છે. નવાઈની વાત એ છે કે બીજેપીને કાશ્મીરમાં સરકાર ચલાવ્યાના ત્રણ વરસ પછી અને લોકસભા ચુટણીના એક વરસ પહેલા આ વાતની ખબર પડી. આ જાહેરાત પણ કોણે કરી, રામ માધવે, જે આખી દુર્ઘટના માટે કાશ્મિરના પ્રભારી તરીકે સૌથી વધુ જવાબદાર છે. અને કઈ એક્સ્ટ્રા કોન્સ્ટીટ્યુશનલ ઓથોરીટીથી રામ માધવ કાશ્મીરનો વહીવટ કરતા હતા? એમની જવાબદારી નક્કી થવાની? ગંભીર ભૂલની સજા થવાની?
ભૂલ પણ એકાદ નહિ, ભૂલોની હારમાળા દેશને કેટલી મોંઘી પડી. આર્થિક વાત તો જવા દો, રામ માધવના જ કહ્યા મુજબ કેન્દ્રે આ ત્રણ વર્ષમાં કાશ્મીરને ૮૦,૦૦૦ કરોડ રૂપિયા વિકાસ કામો માટે આપ્યા. જે વિકાસ કાશ્મીરમાં ક્યાય શોધ્યો જડતો નથી. અને પાછલા વર્ષોના લાખો કરોડ રૂપિયાની જેમ એનો હિસાબ પણ ક્યારેય મળવાનો નથી. મૂળ વાત કાશ્મીરના આતકવાદ અને અલગાવવાદની. આ ત્રણ વરસમાં રામ માધવના જ આંકડા મુજબ ૬૦૦ આતંકવાદીઓ મરાયા. એની સામે આપણા કેટલા સૈનિકો, આર્મી અફસરો અને નાગરીકોનાં પણ બલિદાન લેવાયા. આપણી પોતાની કાશ્મીરી પ્રજા હાથમાં પથ્થરો લઈને આપણી સામે આવી ગઈ. કાશ્મીરી પંડિતોની ઘર વાપસી તો દૂરની વાત છે, આજે પ્રવાસી તરીકે પણ કાશ્મીર જવામાં આપણી સલામતી નથી.
ત્રણ દાયકા પહેલાની જ વાત કરીએ, તો ભયાનક અરાજકાતાથી ભરેલો સમય હતો એ. કેન્દ્રમાં અસ્થિર મિશ્ર સરકારોના એ યુગમાં વર્ણવી ના શકાય એવી ખૂનામરકી અને બળાત્કારોથી ભરેલી રાતોમાં કાશ્મીરી પંડિતોએ પોતાની જાન બચાવવા પહેરેલે કપડે કાશ્મીર છોડીને ભાગવું પડ્યું.સેક્યુલર ભારત માં એક રાજ્ય કાશ્મીર સંપૂર્ણ મુસ્લિમ રાજ્ય બની ગયું. એ વાતને આજે ત્રીસ વરસ થશે અને મોદી સરકારને ચાર.
આજે કાશ્મીરના લોહીયાળ ઇતિહાસમાં વધુ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. આજે ત્યાં હિંદુઓ તો છે જ નહી પણ આતંકવાદ સામે સ્થાનિક મુસ્લિમો પણ સલામત નથી. કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની શ્રીનગરમાં ધોળે દહાડે એમના બે સુરક્ષા ગાર્ડ સહિત હત્યા કાશ્મીરનું ક્રૂર વર્તમાન છે.
એમાં કોઈ શંકા નથી, કે કાશ્મીરની સમસ્યા આપણને એક કાશ્મીરી જવાહરલાલ નહેરુની ભેટ છે. દેશના પહેલા પ્રધાનમંત્રીની અનેક ભૂલોમાં આ સૌથી ગંભીર ભૂલ હતી. એમને કાશ્મીરી હોવાના નાતે કાશ્મીર પ્રશ્ન પોતાની પાસે રાખ્યો અને ઉપપ્રધાનમંત્રી કમ ગૃહમંત્રી સરદાર પટેલને એનાથી દૂર રાખ્યા. સરદાર જેમ જૂનાગઢ અને હૈદ્રાબાદની ગંભીર સમસ્યા હલ કરી એને સફળતાપૂર્વક ભારતમાં ભેળવી શક્યા, તો કાશ્મીર સમસ્યા પણ એ ઉગતી જ ડામીને સફળતાપૂર્વક ઉકેલી શક્યા હોત. પરંતુ નહેરુ કાયમ એમને નડતા રહ્યા.
પ્રધાનમંત્રી મોદી, સરદારને તો નહેરુ નડતા હતા, આપને કોણ નડે છે, કડક હાથે કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવતા? આપની સરકારના ચાર વરસ તો ગયા. હવે એક જ વરસ બચ્યું છે. આપને એક જ વિનંતી – કાશ્મીરમાં હવે ગવર્નર રાજ છે. બંધારણમાં એના જે અર્થ હોય તે, પ્રેકટીકલી, કાશ્મીરમાં પીએમઓનું રાજ છે – છેલ્લા ૭૦ વરસમાં પ્રધાનમંત્રીઓ, મંત્રીઓ, રાજકારણીઓ અને અધિકારીઓએ કાશ્મીર અને એટલે દેશનું બહુ મોટું નુકસાન કર્યું છે. જો આપ આપને રાષ્ટ્રવાદી માનતા હોવ, તો હવે બસ વધુ નહિ તો ૭૦ દિવસ આર્મીને નડ્યા વગર કોઈ હસ્તક્ષેપ વગર કાશ્મીરની આતંકવાદની સમસ્યા એની રીતે હલ કરવા દો. તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ હાથવ્હેતમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપે 2019 માટે કાશ્મીરથી “રાષ્ટ્રવાદ”નો નારો લગાવ્યો….?
Next articleકજોડું તો તુટવા માટે જ હોય …ચુંટણી જંગ જીતવાની ભાજપની કાશ્મીર નીતિ